મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા
૩૪ પ્લોટની હરાજીમાં અપસેટ પ્રાઇજથી ૧૫ હજારથી ૩૦ હજાર મળ્યા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાનાર લોકમેળાની ચાલી રહેલી તડામાર તૈયારીમાં આજે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મોટી યાંત્રિક રાઈડના ૩૪ પ્લોટ માટેની હરાજી રાખવામાં આવી હતી. જો કે અગાઉ જાહેર કરેલા સમય કરતા સવા કલાક મોડી હરાજી શરૂ થઈ હતી જેમાં યાંત્રિક રાઈડના સંચલાકોએ અંદરો અંદર ગોઠવણ કરી લેતા અપસેટ પ્રાઈઝ કરતા ૧૫ હજારથી લઈને ૩૦,૦૦૦ની વધુ આવક થઈ છે. યાંત્રિક રાઈડના ૩૪ પ્લોટની હરાજીમાંથી લોકમેળા સમિતિને ૧,૪૦,૨૫૦,૦૦૦ જેવી રકમ ઉપજી હતી. જ્યારે આજે આઈસ્ક્રીમના ૧૭ ચોગઠાની હરાજી થશે.
રાજકોટમાં દર વર્ષે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે યોજાતા ભાતીગળ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી દર વર્ષે લાખો લોકો ઉમટી પડે છે. આ લોકમેળાનું આયોજન કલેક્ટર દ્વારા નિમાયેલી લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો: NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા
લોકમેળામાં ૨૨૮ પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેની સામે ૫૩૪ અરજી આવી છે. રમકડા, નાના ખાણીપીણીના સ્ટોલ, નાની ચકરડી અને મધ્યમ ચકરડીના પ્લોટનો ડ્રો સોમવારે રાખવામાં આવ્યો હતો. જ્યારે મંગળવારે ખાણીપીણીના કોર્નરના ૪૦ પ્લોટની હરાજી થઈ હતી જેમાં તંત્રને સારી એવી આવક થઈ હતી.
જ્યારે આજે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે લોકમેળા સમિતિના અધ્યક્ષ અજય ઝાપડાની આગેવાની હેઠળ મોટી યાંત્રિક રાઈડના ૩૪ પ્લોટની હરાજી રાખવામાં આવી હતી જેમં ઈ-કેટેગરી માટે ૩,૩૦,૦૦૦ અને એફ-કેટેગરી માટે ૨,૨૫,૦૦૦, જી-કેટેગરી માટે ૪,૩૦,૦૦૦ અને એચ-કેટેગરી માટે ૪,૧૦,૦૦૦ અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી હતી.
હરાજીનો સમય સવારે ૧૧ કલાકે રખાયો હતો પરંતુ યાંત્રિક રાઈડના સંચાલકો સવા કલાક મોડા આવ્યા બાદ હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં અગાઉથી જ વાતચીત કરી નક્કી કરીને આવેલા યાંત્રિક રાઈડના સંચાલકોએ અપસેટ પ્રાઈઝ કરતા ૧૫ હજારથી ૩૦,૦૦૦ સુધીની ઉંચી બોલી લગાવીને અટકી ગયા હતા.
આમ છતાં લોકમેળા સમિતિને ૩૪ પ્લોટ માટે ૧,૪૦,૨૫,૦૦૦ની જંગી આવક થઈ છે. જ્યારે આજે આઈસ્ક્રીમના ૧૭ ચોગઠા સામે ૨૨ અરજી આવેલ હોય તેમાં ખરાખરીનો જંગ જોવા મળશે તેમ જાણવા મળેલ છે.
મોટી યાંત્રિક રાઇડ સાથે નાની ચકરડી મુકવા માટે સંચાલકોની માંગ
લોકમેળા યાંત્રિક રાઈડના મોટા પ્લોટમાં મોટી યાંત્રિક રાઈડની બાજુમાં નાની ચકરડીઓ મુકવા માટે મંજૂરી આપવા લોકમેળા સમિતિના અધ્યક્ષ સમક્ષ યાંત્રિક રાઈડના સંચાલકોએ રજૂઆત કરી હતી જેમાં મોટા પ્લોટમાં ઘણી જગ્યા વધતી હોય એક જ ભાવમાં બીજી નાની ચકરડી પણ મુકવા દેવા માટે રજૂઆત કરી હતી પરંતુ અધ્યક્ષ અજય ઝાપડાએ આ તકે સંચાલકોની માંગ ફગાવી દીધી હતી. જ્યારે પાથરણાવાળાઓને મેળામાંથી બહાર કાઢવાની રજૂઆત માન્ય રાખી આ બાબતે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી.
