સીમાંકન અને મહિલા અનામત બિલ માટે સંસદના ત્રીદિવસીય વિશેષ સત્રની દરખાસ્ત
રાહુલ ગાંધીનો સ્પષ્ટ ઇનકાર, પહેલા ચર્ચાની માંગ
કેન્દ્ર સરકારે ડિલિમિટેશન અને મહિલા અનામત બંધારણીય સુધારા બિલ પસાર કરવા માટે 16, 17 અને 18 ઓગસ્ટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવાની દરખાસ્ત કોંગ્રેસ સહિતના વિપક્ષ સમક્ષ મૂકી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ બુધવારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી આ બંને બિલ માટે સહકાર માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ હાલની પરિસ્થિતિમાં સરકારની દરખાસ્ત ફગાવી દીધી હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના મુદ્દે ચર્ચા અને 20 જુલાઈના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન થયા વિના ગૃહની કાર્યવાહી આગળ વધી શકે નહીં. કોંગ્રેસે સરકારને જણાવ્યું છે કે વિશેષ સત્ર અંગેનો અંતિમ નિર્ણય પક્ષની આંતરિક ચર્ચા તથા અન્ય વિપક્ષી પક્ષો સાથે પરામર્શ બાદ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં બજેટ સત્ર દરમિયાન ડિલિમિટેશન સંબંધિત બંધારણીય સુધારા બિલ જરૂરી બે-તૃતીયાંશ બહુમતીના અભાવે લોકસભામાં પસાર થઈ શક્યું નહોતું. બીજી તરફ હાલનું ચોમાસુ સત્ર સતત હોબાળા અને સ્થગિત થતી કાર્યવાહી વચ્ચે આગળ વધી રહ્યું છે, જેના કારણે પ્રશ્નકાળ પણ પૂર્ણ થઈ શક્યો નથી.
ચંદા ચોરી અને ગૃહમંત્રીના નિવેદન મુદ્દે વિપક્ષ આક્રમક
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષી પક્ષોએ અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ ઉઠાવી છે. સાથે જ 20 જુલાઈના વિદ્યાર્થી વિરોધ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીને લઈને ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં નિવેદન આપે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં પ્રતીકાત્મક દાનપેટીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે, જેના કારણે ચોમાસુ સત્ર સતત ગતિરોધનો ભોગ બની રહ્યું છે.
સરકારને બહુમતીની આશા
એપ્રિલમાં લોકસભામાં થયેલા મતદાન દરમિયાન 528 સાંસદો હાજર હતા અને બે-તૃતીયાંશ બહુમતી માટે 352 મત જરૂરી હતા. ત્યારે સરકારને 298 મત મળ્યા હતા જ્યારે 230 સભ્યોએ બિલનો વિરોધ કર્યો હતો, જેના કારણે બિલ 54 મતના અંતરથી પસાર થઈ શક્યું નહોતું. હવે તૃણમૂલ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કેટલાક સાંસદોના પક્ષપલટા બાદ સરકારને જરૂરી આંકડો નજીક હોવાનો વિશ્વાસ છે. સરકારનું માનવું છે કે આ બદલાયેલી સંખ્યાબળની સ્થિતિમાં વિવાદાસ્પદ ડિલિમિટેશન બિલ પસાર કરવાની શક્યતા વધી છે. રાજ્યસભામાં પણ એનડીએ ધીમે ધીમે બે-તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચી રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.
