પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી જ કરવાની રહે છે
ગાંધીનગર: એક અત્યંત મહત્વના આદેશમાં રાજ્યના પોલીસ વડાએ નવા પાસપોર્ટ વખતે કે પછી રીન્યુઅલ વખતે પોલીસ વેરિફિકેશન માટે કોઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. પોલીસ વેરિફિકેશનમાં માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની ચકાસણી જ કરવાની હોય છે અને તેના માટે કોઈ અરજદારને પોલીસ સ્ટેશને બોલાવી નહી શકાય. કોઈની માહિતી શંકાસ્પદ લાગે તો પોલીસ કર્મચારી અરજદારના સરનામે જઈને ખરાઈ કરી શકશે. આ નિર્ણયથી લોકોના પોલીસ સ્ટેશનના ધક્કા બંધ થઇ જશે.
રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને આ મુજબના મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.
પોલીસ વડાના આદેશ બાદ પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં ‘અજાણ્યા હુમલાખોરો’એ 30થી વધુ લશ્કર આતંકીઓને ઠાર માર્યા
પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.
ભલુ થયુ, ભાંગી ઝંઝાળ : ‘ચા-પાણી’ના બચ્યા
આમ તો કોઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવી જ શકાતા નથી. કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી માટે પોલીસ કર્મચારીએ જ અરજદારના નિવાસે જવાનું હોય છે પણ આ નિયમનો અમલ ખુદ પોલીસ જ કરતી નથી અને અરજદારને ફોન કરીને પોતાના સમયે હાજર રહેવા માટે સુચના આપે છે. એકલા રાજકોટમાં જ નહી પણ આખા રાજ્યમાં કોઈ પોલીસ કર્મચારી અરજદારના નિવાસસ્થાને જતો નથી પણ અરજદારને જ બોલાવીને તેનું નિવેદન નોંધે છે અને તેની તથા તેના સાક્ષીની સહી લ્યે છે.
ઘણા કિસ્સામાં આવા પોલીસ કર્મચારીના ‘ ચા-પાણી’ પણ અરજદારના ખર્ચે થતા હોય છે. ઘણા કિસ્સામાં અરજદારને ધક્કા પણ ખવડાવવામાં આવતા હોય છે. પાસપોર્ટ ઓફિસમાં અરજદારને બેસવા માટે સુંદર વ્યવસ્થા હોય છે પણ પોલીસ સ્ટેશનમાં આવી અપેક્ષા રાખી શકાતી નથી અને પોલીસ કર્મચારી પણ અરજદાર સાથે આરોપીની ભાષામાં જ વાત કરતા હોય છે. ઘણા લોકોને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ પણ થાય છે પણ વાત પાસપોર્ટની હોય એટલે અરજદાર પોલીસના વાણી-વર્તનને સહન કરી લ્યે છે.
આ બધી સમસ્યામાંથી હવે છુટકારો મળશે. જેમના ડોક્યુમેન્ટ પ્રોપર હોય અને કોઈ પ્રકારના પોલીસ કેસ ન હોય તેવા લોકોએ હવે કોઈ મૂંઝવણ રાખવાની જરૂર નથી કારણ કે પોલીસે નિર્ધારિત સમય મર્યાદામાં પોતાનો રીપોર્ટ આપી જ દેવો પડશે.
