ગિફ્ટ સિટી, વિદેશી રોકાણ અને ડેટા સેન્ટરને ટેક્સમાં છૂટ મળશે
નાણામંત્રી નિર્મલાએ હંગામાં વચ્ચે કર (સંશોધ) બિલ, 2026 લોકસભામાં રજૂ કર્યું
ટેક્સના કેસનું ભારણ ઘટશે ; મંદિર દાન ચોરી મુદ્દે વિપક્ષી ધમાલ બાદ બંને ગૃહ મુલતવી
કેન્દ્ર સરકારે દેશમાં રોકાણ વાતાવરણને મજબૂત બનાવવા, ઉત્પાદનને નવું પ્રોત્સાહન આપવા અને વિદેશી મૂડી આકર્ષવા માટે કર કાયદાઓમાં પુનર્ગઠન કરવાનું એક મોટું નીતિગત પગલું ભર્યું છે. મંગળવારે નાણામંત્રી નિર્મલાએ કર સુધારા બિલ હંગામાં વચ્ચે રજૂ કર્યું હતું. જો કે સંસદના બંને ગૃહોમાં વિપક્ષની ધમાલ ચાલુ જ રહી હતી. જંતરમંતર પર દેખાવકારો સામે પોલીસ એક્શન અને રામ મંદિર દાન ચોરી અંગે વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહને ગૃહમાં બોલાવવા અને જવાબ આપવાની માંગ કરી હતી. અંતે બંને ગૃહો આખા દિવસ માટે મુલતવી રાખી દેવાયા હતા.
દરમિયાનમાં સરકારની ટેક્સ અંગેની આ નીતિગત પરિવર્તનનો મુખ્ય હેતુ કર પ્રણાલીને સરળ બનાવવા, કર વિવાદો અને ટેક્સના કેસનું ભારણ ઘટાડવા અને ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલાના નવા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. નવા પ્રત્યક્ષ કર સુધારાઓ અને સંકલિત કર માળખા સાથે FTA (મુક્ત વેપાર કરાર) દ્વારા, સરકારનું લક્ષ્ય સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરવાનો છે.
આ બિલ વિદેશી રોકાણ ભંડોળ માટે કર નિયમોને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે. હાલમાં, ભારતમાં વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરવા માટે પાત્ર રોકાણ ભંડોળને રોકાણકારોની રચના, વૈવિધ્યકરણ, લઘુત્તમ ભંડોળ અને રોકાણ પ્રતિબંધો સંબંધિત ઘણી શરતો પૂરી કરવી પડે છે. આ બિલમાં આમાંની ઘણી શરતોને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હવે જંતર મંતર પર આજથી પેન્શનરોનું આંદોલન
સરકાર કરવેરા (સંશોધ) બિલ, 2026 દ્વારા આવકવેરા (સંશોધ) વટહુકમ, 2026 નો વ્યાપ વધારવા જઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ડેટા સેન્ટર્સ, રફ ડાયમંડ વેપાર અને વિદેશી રોકાણ ભંડોળનો સમાવેશ કરીને લાંબા ગાળાના વિદેશી રોકાણને આકર્ષવા માટે નવા કર પગલાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
લોકસભામાં એપ્રોપ્રીએશન બિલ અને જન્મ- મૃત્યુ બિલ રાજ્યસભામાં પાસ
બોક્સ આ દરમિયાન લોકસભામાં ગૃહના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભારે ધમાલ કરાઇ હતી અને તેની વચ્ચે ગૃહમાં વોઇસ વોટ સાથે એપ્રોપ્રીએશન બિલ પસાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હંગામાં વચ્ચે જન્મ અને મૃત્યુ સુધારા બિલ પણ પસાર કરી દેવાયું હતું. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. એપ્રોપ્રીએશન બિલનો હેતુ એ છે કે કન્સોલિડેટેડ ફંડમાંથી ખર્ચ કરવા માટે નાના કાઢવાની મંજૂરી માંગવામાં આવે છે. જ્યારે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન અંગે કેટલાક મહત્વના સુધારા થયા છે. હવે લોકોએ નોંધણી કરાવવામાં વિલંબ કરવો મોંઘો પડશે. 2 વર્ષના વિલંબ બાદ કચેરીના ધક્કા ખાવા પડશે.
