દેશ-દુનિયાની આસ્થાનું કેન્દ્ર બનેલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આધુનિક નિર્માણકામ સામે મોટા સવાલો ઉભા થયા છે, કારણ કે થોડી જ મિનિટોના વરસાદમાં ગર્ભગૃહ અને પરિસરમાં પાણી ભરાઈ જતા ભક્તોને દર્શનથી વંચિત રહેવું પડ્યું છે.
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ધોધમાર વરસાદને કારણે ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં પાણી ભરાવવાનો સિલસિલો સામે આવ્યો છે. મંગળવારે અચાનક બદલાયેલા હવામાન વચ્ચે આશરે ૪૫ મિનિટ સુધી પડેલા મુસળધાર વરસાદને કારણે રામનગરી અયોધ્યામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રામ દરબાર તરફ જતી સીડીઓ બની ઝરણા સમાન
મંદિરની અંદર ભારે વરસાદ દરમિયાન રામ દરબાર તરફ જતી સીડીઓ પરથી પાણી વહીને જાણે કોઈ મોટું ઝરણું વહેતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રામ દરબારમાંથી પાણી વહીને સીધું નીચે મંદિર પરિસરમાં ફેલાઈ જતાં પરિસ્થિતિ વણસી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ અને અઘટિત બનાવ રોકવા માટે સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ધોરણે શ્રદ્ધાળુઓને આગળ જતા અટકાવ્યા હતા અને થોડા સમય માટે દર્શન રોકી દેવામાં આવ્યા હતા. દર્શન કરીને બહાર આવેલા શ્રદ્ધાળુઓએ આ અંગે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી હતી કે આટલી આધુનિક અને સુવ્યવસ્થિત રીતે નિર્મિત ભવ્ય મંદિરમાં વારંવાર પાણી કેમ ભરાઈ જાય છે. જોકે, આ ગંભીર બાબતે મંદિર તંત્ર કે સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો: રશિયન તેલ ખરીદવા બદલ ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો
રામપથ અને મુખ્ય માર્ગો પર જળબંબાકાર
માત્ર મંદિર જ નહીં, પરંતુ અયોધ્યાના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા:
રામપથ: મંદિરના પ્રવેશદ્વાર સામે આવેલા મુખ્ય રામપથ પર ભારે પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો.
અન્ય વિસ્તારો: હનુમાનગઢી વિસ્તાર, ટેઢી બજાર, બિરલા ધર્મશાળાની આસપાસ તેમજ વીઆઈપી વિસ્તાર ગણાતા સિવિલ લાઈનથી લઈને રામપથ સુધીના માર્ગો પાણીથી લબાલબ થઈ ગયા હતા.
વેપારીઓ અને નાગરિકોની હાલાકી: સીતાપુર આઈ હોસ્પિટલના જૂના મકાન સામે આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે નુકસાન અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રામપથથી રીડગંજ તરફ જતો મુખ્ય માર્ગ પણ જળમગ્ન બન્યો હતો.
સોસાયટીઓ અને આંતરિક વિસ્તારોમાં પણ પાણી ભરાયા
શહેરના જલવાનપુરા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓ યથાવત રહી હતી. રિકાબગંજ-કસાબાડા માર્ગ પર ભરાયેલા પાણી વચ્ચેથી લોકોને મજબૂરીમાં પસાર થવું પડ્યું હતું. ભારે વરસાદના કારણે સાહબગંજ વિસ્તારની ગટરો છલકાઈને રસ્તા પર વહેવા લાગી હતી. ઉપરાંત, દેવકાલી વોર્ડ અંતર્ગત આવતી શ્રી રામ કુંજ કોલોની, બછડા સુલતાનપુર, શિવ પુરામ કોલોની, દેવકાલી ગામ અને ટીચર કોલોની સહિતના અનેક વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાથી નાગરિકો ભારે પરેશાનીમાં મુકાયા છે.
