સુવિધા ઓછી દુવિધા વધુ: ગાર્ડન-રોશની શાખા ક્યારે જાગશે ?
અકસ્માત થવાની, ચોરી-લૂંટ સહિતના બનાવ બને તો ચહેરા ન ઓળખાવા સહિતની સમસ્યા ઉદ્ભવશે ત્યારે જવાબદાર કોણ ?
રેલનગર અન્ડર બ્રિજ, ભોમેશ્વર મંદિર રોડ, કલેક્ટર કચેરી, રેસકોર્સ રિંગરોડ સહિતના લગભગ તમામ રસ્તે સ્ટ્રીટ લાઈટ તો છે પણ વૃક્ષની ડાળીઓને કારણે બની રહે છે માત્ર ટમટમીયા
વોઈસ ઓફ ડે। રાજકોટ
રાજકોટને હરિયાળું બનાવવા માટે મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશને દિવસેને દિવસે સઘન બનાવવામાં આવી રહી છે પરંતુ `તંત્ર કોઈ કામ કરે અને તેમાં કોઈ ભૂલ ન થાય કે ભૂલ ન નીકળે તો જ નવાઈ પામવા જેવું રહે છે’ની જેમ વૃક્ષોનો ઉછેર થઈ ગયા બાદ તેની વ્યવસ્થિત જાળવણી જેમાં ટ્રિમિંગ સહિતની પ્રક્રિયા કરવામાં આવતી ન હોય આ વૃક્ષો અત્યારે લોકો માટે મુશ્કેલી નોતરી રહ્યા છે. શહેર ઝગમગતું રહે તે માટે મહત્તમ વિસ્તારમાં એલઈડી લાઈટ ફિટ કરવામાં આવી છે જેના કારણે રાત્રે પણ અજવાળું રહે છે. જો કે અત્યારે આ સ્ટ્રીટલાઈટને તોતિંગ વૃક્ષોની ડાળીઓ ઢાકી દેતી હોવા છતાં મહાપાલિકાની બગીચા શાખા કે રોશની શાખાના ધ્યાન પર આ સમસ્યા આવી રહી ન હોય લોકોને લાઈટ હોવા છતાં અંધારામાંથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે.

રેલનગર અન્ડર બ્રિજ, ભોમેશ્વર મંદિર રોડ, કલેક્ટર કચેરી, રેસકોર્સ રિંગરોડ સહિતના રસ્તાઓ કે જ્યાં રાત્રિના સમયે પણ વાહનોની અવર-જવર મોટી સંખ્યામાં રહે છે અને અહીં સ્ટ્રીટ લાઈટ પણ છે પરંતુ વૃક્ષની ડાળીઓને કારણે આ લાઈટ માત્ર ટમટમીયા બનીને જ રહી જતી હોય તેનો કોઈ મતલબ રહેતો નથી. તંત્રએ આ તમામ રસ્તે ફેરણી કરીને ઉગી નીકળેલી વધારાની ડાળીઓનું ટ્રીમિંગ કરવું જરૂરી બની જાય છે અન્યથા અકસ્માત થવાની, ચોરી-લૂંટ સહિતના બનાવ બને ત્યારે અંધારાને કારણે ચહેરા ન ઓળખી શકવા સહિતની સમસ્યા ઉદ્ભવી શકે છે.
આ પણ વાંચો : ભાદરવામાં ચોમાસું : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
ગાર્ડન શાખાને તુરંતમાં જાણ કરી સમસ્યા દૂર કરાશે: પરેશ ઠાકર
મહાપાલિકાની રોશની શાખાના ચેરમેન પરેશ ઠાકરે જણાવ્યું કે જ્યાં તેમના દ્વારા અલગ-અલગ વોર્ડમાં ફેરણી કરવામાં આવી ત્યારે પણ ચારેક જગ્યાએ આ પ્રકારની સમસ્યા ધ્યાને આવી હતી એટલે ગાર્ડન શાખાને જાણ કરી ડાળીઓનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું. હવે આખા શહેરમાં આ પ્રકારે ડાળીઓ ઉગી ગઈ છે ત્યારે તુરંતમાં જ ગાર્ડન શાખાને જાણ કરી સ્ટ્રીટ લાઈટનું અજવાળું સીધું રસ્તા ઉપર જ પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે રોશની શાખાના ઈજનેર બી.ડી.જીવાણીએ પણ ગાર્ડન શાખા સાથે સંકલન કરી જ્યાં જ્યાં ડાળીઓ ઉગી હશે તેને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
