ગંગા નદીમાં ચિકન ન ખાઈ શકાય એવો કોઈ કાયદો નથી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભુયાન
આંદોલન કરતા વિદ્યાર્થીઓની ધરપકડ અંગે ખેદ વ્યક્ત કર્યો
ભોપાલ: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ઉજ્જલ ભુયાને શનિવારે ન્યાયતંત્રની કાર્યપદ્ધતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે દેશમાં અસહમતિ વ્યક્ત કરનાર નાગરિકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની વૃત્તિ વધી રહી છે અને અદાલતો રાહત તો આપે છે, પરંતુ ઘણી વખત તે ખૂબ મોડેથી મળે છે. વધુમાં જામીન આપતી વખતે મૂકવામાં આવતી કડક શરતો બંધારણીય સ્વતંત્રતાઓને નબળી પાડે છે અને નાગરિકોને વિરોધ કે અસહમતિ વ્યક્ત કરવા પર પરોક્ષ રીતે દબાણ લાવે છે.
ભોપાલની નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીમાં આયોજિત જસ્ટિસ જી.પી. સિંહ સ્મારક વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવું અને પોતાના વિચારો વ્યક્ત કરવું નાગરિકોના મૂળભૂત અધિકારો છે. તેમ છતાં આજે સામાન્ય પ્રવૃત્તિઓને પણ ગુનાહિત ગણાવવાની વૃત્તિ વધી રહી છે.
તેમણે ગંગા નદીમાં રમઝાન દરમિયાન રોજા ખોલવા માટે બોટમાં બેઠા ચિકન બિરયાની ખાતા 14 મુસ્લિમ યુવાનોની ધરપકડના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગંગા નદી પર ચિકન ખાવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો નથી. તેમણે યાદ અપાવ્યું કે માત્ર ચિકન બિરયાની ખાવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને ત્રણ મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
આ પણ વાંચો: રાજ્યના અડધો ડઝનથી વધુ જિલ્લામાં લીલો દુકાળ!
જસ્ટિસ ભુયાને જણાવ્યું હતું કે અદાલતો ઘણી વખત જામીન આપે છે, પરંતુ તેની સાથે જાહેર સભામાં હાજરી ન આપવી, સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ ન કરવી કે દેશ છોડીને ન જવું જેવી શરતો મૂકે છે. આવી શરતો મૂળભૂત સ્વતંત્રતાઓને અસર પહોંચાડે છે.
“એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય કે ભારતમાં ભિન્ન મત વ્યક્ત કરવા માટેની જાહેર જગ્યા સતત સંકોચાઈ રહી છે. પોતાના વિચારો વ્યક્ત કરવાનો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર નાગરિકોની મૂળભૂત સ્વતંત્રતા છે. ચર્ચા અને અસહમતિ લોકશાહીનું મૂળ તત્ત્વ છે. દુર્ભાગ્યે, આજે સામાન્ય પ્રવૃત્તિઓને પણ ગુનાહિત બનાવવામાં આવી રહી છે,” જસ્ટિસ ભુયાન
સુપ્રીમ કોર્ટ કેટલી મહાન છે તે ન્યાયાધીશો નક્કી કરી શકે નહી
જસ્ટિસ ભૂયાને કહ્યું કે ન્યાયતંત્ર પણ ટીકાથી પર નથી. કોઈપણ ચુકાદો જાહેર થયા બાદ તેનું કાયદાકીય વિશ્લેષણ અને જરૂરી હોય તો ટીકા થવી જોઈએ. ચુકાદાની ટીકા કરવી એટલે ન્યાયાધીશની ટીકા કરવી નહીં. તેમણે વિદ્યાર્થીઓને પણ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનું તટસ્થ અને વિવેચનાત્મક અધ્યયન કરવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને પ્રાસંગિકતા જાળવવા માટે જનતાનો વિશ્વાસ સૌથી મહત્ત્વનો છે. સુપ્રીમ કોર્ટ કેટલી મહાન છે તે ન્યાયાધીશો નક્કી કરી શકે નહીં; તેનો નિર્ણય દેશના નાગરિકો કરે છે. ન્યાયતંત્ર સતત આત્મમંથન કરશે અને જાહેર ચર્ચા તથા રચનાત્મક ટીકાને સ્વીકારશે તો લોકશાહી વધુ મજબૂત બનશે.
ગાઝા તરફેણના આંદોલન અંગે હાઇકોર્ટની ટિપ્પણી પર સવાલ
જસ્ટિસ ભુયાને જુલાઈ 2025માં બોમ્બે હાઇકોર્ટ દ્વારા ગાઝામાં કથિત નરસંહારના વિરોધમાં આઝાદ મેદાન ખાતે દેખાવ કરવાની મંજૂરી માંગતી સીપીઆઈ(એમ)ની અરજી ફગાવવાના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક ન્યાયાધીશે ” લોકો પોતાના દેશની બહારની ઘટનાને લઈને વિરોધ કેમ કરવા માંગે છે” તેવો સવાલ ઉઠાવ્યો હતો, જે તેમને “ખૂબ જ આશ્ચર્યજનક અને રસપ્રદ” લાગ્યો. જસ્ટિસ ભુયાને કહ્યું કે લોકશાહીમાં નાગરિકોને વૈશ્વિક માનવાધિકારના મુદ્દાઓ પર પણ શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે અને આવા પ્રશ્નોને માત્ર દેશની સીમાઓમાં મર્યાદિત કરીને જોવા યોગ્ય નથી.
