ગયા વર્ષની ઘટના બાદ 18 હાથીઓ માટે પોલીસની નવી ‘સ્માર્ટ સિક્યુરિટી’ સિસ્ટમ અમલમાં મુકાશે
આગામી 16 જુલાઈએ યોજાનારી અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે સંપૂર્ણપણે હાઇટેક બનશે. ગયા વર્ષે ડીજેના અવાજથી એક હાથી બેકાબૂ બનવાની ઘટના બાદ પોલીસે મોટો નિર્ણય લીધો છે. આ વખતે રથયાત્રામાં સામેલ તમામ 18 હાથીઓ પર 360 ડિગ્રી CCTV, ડેસિબલ મીટર અને જાયરોસ્કોપ વાળું સ્માર્ટ યુનિટ લગાવવામાં આવશે. જેના દ્વારા કંટ્રોલ રૂમથી દરેક હાથીની હલચલ પર સેકન્ડ-ટુ-સેકન્ડ નજર રાખવામાં આવશે.
હાથીઓ માટે સ્પેશિયલ ‘સ્માર્ટ યુનિટ’
રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત દરેક હાથી પર એક ખાસ પ્રકારનું ટેકનોલોજી યુનિટ ફીટ કરવામાં આવશે. આ યુનિટમાં 3 મુખ્ય સિસ્ટમ હશે:
– 360 ડિગ્રી CCTV કેમેરા: હાથીની આજુબાજુનો 180 ડિગ્રી ફ્રન્ટ એરિયા કવર કરશે. ભીડ, અનિચ્છનીય પ્રવૃત્તિ અને રૂટની સ્થિતિનું લાઇવ મૂલ્યાંકન થશે.
– ડેસિબલ મીટર: હાથીની આસપાસના અવાજનું સ્તર માપશે. જો અવાજ નિર્ધારિત થ્રેશોલ્ડથી વધશે તો તરત પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ જશે.
– જાયરોસ્કોપ: હાથીના XYZ એક્સિસમાં થતી હલચલ ડિટેક્ટ કરશે. હાથીનું સંતુલન બગડે કે ગતિમાં અચાનક ફેરફાર થાય તો તરત ખબર પડશે.
આ ઉપરાંત આ સિસ્ટમ હાથીની સ્પીડ, GPS લોકેશન અને આસપાસના ફોટા પણ કેપ્ચર કરશે.
આ પણ વાંચો: વિવાદ બાદ અંબાલાલ પટેલે કરી મોટી જાહેરાત: હવે નહીં કરે વરસાદની આગાહી, કહ્યું ‘રામ રામ’
ગયા વર્ષની ઘટના બાદ લેવાયો નિર્ણય
ગયા વર્ષે 148મી રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં ડીજેના મોટા અવાજથી એક હાથી ડરી ગયો હતો અને બેકાબૂ બન્યો હતો. મહાવતે માંડ-માંડ કાબૂ મેળવ્યો હતો. આ ભાગદોડ ફરી ન થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ કંટ્રોલ રૂમ આ ડેટાનું સતત મોનિટરિંગ કરશે.
ડીજે પર કડક પ્રતિબંધ
હાથીઓની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે રથયાત્રાના રૂટ પર ઊંચા અવાજે ડીજે સાઉન્ડ ન વગાડવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે.
આ પહેલનો ઉદ્દેશ્ય શું?
પોલીસનો મુખ્ય હેતુ બે ગણો છે:
1. ભક્તોની સુરક્ષા: રથયાત્રા દરમિયાન કોઈ ભાગદોડ કે અકસ્માત ન થાય.
2. હાથીઓની સુરક્ષા: ભીડ અને ઘોંઘાટથી હાથીઓને કોઈ તકલીફ ન પડે.
અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી આ વર્ષે અમદાવાદની રથયાત્રા વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ બનશે તેવી આશા છે.
