નશા માટે થતો દુરુપયોગ રોકવા સરકારનો કડક નિર્ણય, જાન્યુઆરી 2027થી નવો નિયમ લાગુ
નશાના દુરુપયોગ માટે વપરાતા કફ સિરપ અને ટોનિક પર હવે સરકારે કડક લગામ લગાવી છે. કેન્દ્ર સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં મોટો સુધારો કરીને 30mlથી વધુ અને 12%થી વધુ ઇથિલ આલ્કોહોલ ધરાવતી તમામ ઓરલ પ્રવાહી દવાઓને ‘શેડ્યુલ H1’ કેટેગરીમાં મૂકી દીધી છે. એટલે કે હવે આ પ્રકારની દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર પરથી સીધી મળશે નહીં. રિટેલરોએ તેનો રેકોર્ડ પણ રાખવો પડશે. આ નવો નિયમ ગેઝેટમાં પ્રકાશિત થયાના 6 મહિના બાદ એટલે કે જાન્યુઆરી 2027ની આસપાસથી અમલમાં આવશે.
કઈ દવાઓ આવશે નવા નિયમમાં?
સરકારના નવા માપદંડ મુજબ જે દવાઓ આ બે શરતો પૂરી કરશે તેને શેડ્યુલ H1માં મૂકવામાં આવશે:
1. પેકિંગ: 30 મિલીલીટરથી વધુ જથ્થામાં પેક કરેલી હોય
2. આલ્કોહોલ: 12% થી વધુ ઇથિલ આલ્કોહોલ ધરાવતી હોય
આ યાદીમાં મોટાભાગની કફ સિરપ, ટોનિક અને કેટલીક આયુર્વેદિક આલ્કોહોલિક દવાઓનો સમાવેશ થાય છે. શેડ્યુલ H1માં પહેલાથી જ ઊંઘની ગોળીઓ, શક્તિશાળી પીડા નિવારકો અને દુરુપયોગની શક્યતા ધરાવતી દવાઓ સામેલ છે.
શું બદલાશે? 3 મોટા ફેરફાર
1. પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત: હવે આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે નહીં.
2. રેકોર્ડ રાખવો પડશે: છૂટક વેપારીઓએ કોણે, ક્યારે, કેટલી દવા ખરીદી તેનો સંપૂર્ણ રેકોર્ડ 2 વર્ષ સુધી સાચવીને રાખવો પડશે.
3. ચેતવણી લેબલ: દવાની બોટલ પર “Schedule H1 Drug – Warning: To be sold by retail on the prescription of a Registered Medical Practitioner only” જેવું સ્પષ્ટ લેબલ લગાવવું ફરજિયાત રહેશે.
શેડ્યુલ Kની મુક્તિ રદ
અત્યાર સુધી કેટલીક દવાઓને ‘શેડ્યુલ K’ હેઠળ નિયમોમાંથી છૂટ મળતી હતી. સરકારે હવે તે મુક્તિ પણ પાછી ખેંચી લીધી છે. હવે 30mlથી વધુ અને 12%થી વધુ આલ્કોહોલ ધરાવતી કોઈપણ મૌખિક દવા માટે શેડ્યુલ Kની છૂટ લાગુ નહીં પડે. આનો હેતુ ઉત્પાદનથી લઈને રિટેલ સુધી આખી સપ્લાય ચેઈન પર કડક નજર રાખવાનો છે.
નિયમ ક્યારે લાગુ થશે?
આ નિયમનો ડ્રાફ્ટ ઓક્ટોબર 2025માં જાહેર પરામર્શ માટે મૂકવામાં આવ્યો હતો. 30 દિવસમાં કોઈ વાંધો ન આવતા ડ્રગ્સ ટેકનિકલ સલાહકાર બોર્ડની મંજૂરી બાદ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સરકારી ગેઝેટમાં પ્રકાશનના 6 મહિના બાદ આ નિયમ લાગુ થશે. તેથી કડક અમલ જાન્યુઆરી 2027ની આસપાસ શરૂ થવાની શક્યતા છે. આ વચગાળામાં ફાર્મા કંપનીઓ અને દુકાનદારોને પોતાનું પેકેજિંગ અને વેચાણ સિસ્ટમ બદલવાનો સમય મળશે.
સરકારનો ઉદ્દેશ્ય શું?
છેલ્લા કેટલાક વર્ષોમાં કફ સિરપ અને ટોનિકનો યુવાનોમાં નશાના રૂપમાં દુરુપયોગ વધ્યો હતો. આ દુરુપયોગને રોકવા અને દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારે આ કડક પગલું ભર્યું છે.
