ચાંદીપુરા વાયરસથી 14 દિવસમાં 5 બાળકના મોત, હિંમતનગર સિવિલમાં અલગ વોર્ડ શરૂ
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે માઝા મૂકી છે. છેલ્લા 14 દિવસમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 4 શંકાસ્પદ અને 1 પોઝિટિવ સહિત કુલ 5 બાળકોના મોત થયા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે અને જિલ્લાના 4 ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
14 દિવસમાં 7 કેસ, 5 ના મોત
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 26મી જૂનથી 9મી જુલાઈ દરમિયાન ચાંદીપુરા વાયરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
મૃતકોમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બાબારી ગામના 6 વર્ષીય બાળકનો રિપોર્ટ મૃત્યુના 3 દિવસ બાદ પોઝિટિવ આવ્યો હતો. પંચમહાલના વેજલપુર વ્યાસડા ગામની 11 વર્ષીય બાળકીનું પણ મોત થયું છે, જેનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. વડાલીના રહેડાના એક બાળકનું પણ શંકાસ્પદ મોત થયું છે. પોશીનાના દેમતી ગામના એક બાળકને સારવાર માટે લાવવામાં આવ્યું હતું, પરંતુ વાલી સારવાર વચ્ચે બાળકને લઈને જતા રહેતા તેનું પણ મોત નિપજ્યું. બનાસકાંઠાના બનોદરા ગામના 3 વર્ષીય બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
હિંમતનગર સિવિલમાં અલગ વોર્ડ, 2 દર્દી સારવાર હેઠળ
શંકાસ્પદ દર્દીઓની સારવાર અને ચેપ અટકાવવા માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. હાલમાં અન્ય શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને તેમના રિપોર્ટ આવવાના બાકી છે.
4 ગામોમાં આરોગ્ય ટીમનો સર્વે
છેલ્લા 48 કલાકમાં જિલ્લાના ફિચોડ અને નાનાચેખલા ગામમાં પણ શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આરઓના જણાવ્યા મુજબ જિલ્લાના કુલ 4 ગામોમાં આરોગ્યની ટીમો મોકલીને ઘરે-ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. તમામ શંકાસ્પદ કેસની માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને તાત્કાલિક મોકલવામાં આવી રહી છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ રેતીની માખીના કરડવાથી ફેલાય છે. તેમાં અચાનક તાવ, ઉલટી અને મગજના લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકોમાં તેનું જોખમ વધુ હોય છે. આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકને તાવ, બેભાન, આંચકી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા.
હાલ સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ પર છે અને પરિસ્થિતિ પર સત નજર રાખવામાં આવી રહી છે.
