12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે
છેલ્લા કેટલાક દિવસથી ધબધબાટી વરસાદથી રાહત મેળવવા માગતા ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવે ચોમાસાનું જોર ઘટ્યું છે. આગામી 2 દિવસ માત્ર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 12થી 15 જુલાઈ દરમિયાન તો વરસાદ વધુ ઘટી જશે, જ્યારે 16 જુલાઈથી ફરી વરસાદી માહોલ સક્રિય થવાનું અનુમાન છે. અત્યારે રાજ્યમાં ક્યાંય પણ ભારે કે અતિભારે વરસાદનું એલર્ટ નથી.
આગામી 2 દિવસ: 10-11 જુલાઈએ હળવા ઝાપટાં
IMDના અનુમાન મુજબ 10 અને 11 જુલાઈ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
12થી 15 જુલાઈ: વરસાદમાં વધુ ઘટાડો
12થી 15 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર સૌથી વધુ ઘટશે. આ 4 દિવસ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી રહેશે. આ દરમિયાન ખેડૂતોને ખેતી કામ માટે સારો સમય મળી શકે છે.
16થી 19 જુલાઈ: ફરી સક્રિય થશે ચોમાસું
હવામાન વિભાગના મધ્યમ ગાળાના અનુમાન મુજબ 16થી 19 જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ફરી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા ઓછી છે.
મહાનગરોનું હવામાન કેવું રહેશે?
– અમદાવાદ: આજે વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ 27°C આસપાસ રહેવાની શક્યતા.
– રાજકોટ, સુરત, વડોદરા: વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા. મહત્તમ તાપમાન 35°C ની આસપાસ રહી શકે છે.
હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ IMDની સત્તાવાર આગાહી પર નજર રાખે અને બદલાતા હવામાન મુજબ જરૂરી સાવચેતી રાખે. હાલ તંત્રને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.
