પૂજારીના વેશમાં આવેલા 70 વર્ષીય વૃદ્ધે સગીરા પર આચર્યું દુષ્કર્મ
વડોદરાના અકોટા વિસ્તારમાંથી માનવતાને કલંક લગાવતો બનાવ સામે આવ્યો છે. પોતાની 17 વર્ષની દીકરીનું મન શાંત કરવા માટે મંદિરમાં મળેલા એક વૃદ્ધની મદ માંગનારા માતા-પિતાને તેનો ભારે મોટો ભોગ ભોગવવો પડ્યો. “વિધિ કરવાના” બહાને ઘરે આવેલા 70 વર્ષીય નરેન્દ્ર ભટ્ટ નામના હવસખોરે સગીરા સાથે બે વાર દુષ્કર્મ આચર્યું. ધરમના ભાઈએ હિંમત આપતા જ આખો ભાંડો ફૂટ્યો અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે.
મંદિરમાં ઓળખાણ, ઘરે બોલાવીને કરી હેવાનિયત
પોલીસ ફરિયાદ મુજબ, અકોટામાં રહેતા માતા-પિતા થોડા દિવસો પહેલા મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાં તેમની મુલાકાત 70 વર્ષીય નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ સાથે થઈ. માતા-પિતાએ પોતાની 17 વર્ષની દીકરીનું મન અસ્થિર રહેતું હોવાની ચિંતા વ્યક્ત કરી અને તેને શાંત કરવાનો ઉપાય પૂછ્યો.
આરોપી નરેન્દ્રએ પોતે “વિધિ” કરવાનું કહીને ઘરે આવવાની વાત કરી. માતા-પિતા પણ દીકરીના ભલા માટે તૈયાર થઈ ગયા.
રૂમમાં લઈ જઈને 20 દિવસમાં 2 વાર દુષ્કર્મ
આશરે 20 દિવસ પહેલા નરેન્દ્ર ભટ્ટ પહેલી વાર પીડિતાના ઘરે આવ્યો. વિધિના નામે તેણે પરિવારના અન્ય સભ્યોને બહાર બેસાડી દીધા અને સગીરાને રૂમમાં લઈ ગયો. હાથમાં લીંબુ અને પૂજાનો સામાન લઈને તે અંદરથી દરવાજો બંધ કરી દેતો હતો.
આ દરમિયાન તેણે સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ આગામી 20 દિવસમાં તે વધુ 3-4 વાર ઘરે આવ્યો અને આ જ બહાને વધુ એક વાર દુષ્કર્મ આચર્યું.
ધરમના ભાઈએ હિંમત આપતા જ ખુલ્યો ભાંડો
પીડિતાએ ડરના મારે શરૂઆતમાં કોઈને વાત ન કરી. પરંતુ બાદમાં તેણે હિંમત કરીને પોતાના ધરમના ભાઈને સમગ્ર ઘટના જણાવી. ધરમના ભાઈએ તરત જ પીડિતાના માતા-પિતાને વિશ્વાસમાં લઈને પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી, આરોપી જેલમાં
પરિવાર અકોટા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને PI ડી.વી. બલદાનિયાને સમગ્ર હકીકત જણાવી. DCP મંજીતા વણઝારાની સૂચનાથી પોલીસે તુરંત ગુનો નોંધ્યો.
આરોપી નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ, રહે. જ્ઞાનસુધા ફ્લેટ્સ, ગોકુળ નગર ટાઉનશિપ પાસે, ગોત્રીની ધરપકડ કરવામાં આવી. તેનું મેડિકલ અને સેમેન ટેસ્ટ કરાવીને વધુ પુરાવા માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
પોલીસનું અપીલ:
પોલીસે વાલીઓને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની “વિધિ” કે “ઉપાય” માટે અજાણ્યા વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. સગીર બાળકો સાથે એકલા રૂમમાં કોઈને ન જવા દેવા.
આ ઘટનાએ ફરી એકવાર સમાજને વિચારતા કરી દીધો છે કે શ્રદ્ધાના નામે થતા શોષણથી કેવી રીતે બચવું.
