બંગાળમાં 12 વર્ષની બાળાની લાશ મળ્યા બાદ એક શખ્સને ટોળાએ પતાવી દીધો
ભાજપના કાર્યકર સહિત 5 શખ્સોની અટકાયત
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બરુઇપુરના સુર્યાપુર વિસ્તારમાં 12 વર્ષની બાળા પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ ભારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળાની લાશ મળ્યા બાદ આક્રોશિત પરિવારજનો અને સ્થાનિક લોકોએ આરોપી ગણાતા એક શખ્સને માર મારતાં તેનું મોત થયું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. પોલીસે ભાજપના એક કાર્યકર સહિત પાંચ શખ્સોની અટકાયત કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બાળા શનિવારે બપોરે મિત્રના જન્મદિવસ માટે ભેટ ખરીદવા ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી નહોતી. પરિવારજનોએ ચાર શખ્સો બાળાને જબરદસ્તી લઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારનું કહેવું છે કે તેમણે આખી રાત બાળાની શોધખોળ કરી હતી, પરંતુ પોલીસ તરફથી સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.
રવિવારે સવારે સ્થાનિક લોકોએ એક શંકાસ્પદ શખ્સને પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે બાળાની લાશ ક્યાં ફેંકવામાં આવી હતી તેની માહિતી આપી હોવાનું કહેવાય છે. ત્યારબાદ સુર્યાપુર હાટ નજીક તળાવ પાસેથી કોથળામાં ભરેલી હાલતમાં બાળાની લાશ મળી આવી હતી. લાશ મળતાં જ આક્રોશિત બનેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ આરોપી શખ્સ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા શખ્સનું બાદમાં મોત થયું હતું.
હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા
ઘટનાના વિરોધમાં સ્થાનિક લોકોએ બરુઇપુર-જોયનગર માર્ગ પર ચક્કાજામ કર્યો, ટાયર સળગાવ્યા અને પોલીસના અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે મોટા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. પ્રેસિડન્સી રેન્જના આઈજીપી કંકરપ્રસાદ બરુઇએ સ્થળ પર પહોંચી દેખાવકારોને તમામ આરોપીઓને ઝડપીને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ દેખાવકારોએ બાળાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા મંજૂરી આપી હતી.
મમતા બેનરજી હાઉસ એરેસ્ટ
આ ઘટના બાદ પીડિતાના પરિવારજનોને મળતાં રોકવા માટે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી ને હાઉસ એરેસ્ટ કર્યા હોવાનો આક્ષેપ થતાં રાજકારણ ગરમાયું છે.મમતા એ સવાલ કર્યોં કે તેમના નિવાસસ્થાન ફરતે આટલી મોટી સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષા દળો અને પોલીસ કેમ તૈનાત કરવામાં આવી છે.મમતાએ સુવેન્દુ અધિકારીના શાસનમાં મહિલાઓ અસલામત હોવાનો આક્ષેપ કર્યો હતો.
