નેતન્યાહૂ સરકારનો સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો પણ ઇનકાર: લોકશાહી ખતરામાં
ન્યાયતંત્ર વિરુદ્ધ સરકાર; બંધારણીય કટોકટી સર્જાવાનો ભય, વિપક્ષ અને રાષ્ટ્રપતિની કડક પ્રતિક્રિયા
ઇઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચુકાદાને સત્તાવાર રીતે સ્વીકારવાનો ઇનકાર કરતાં ગંભીર બંધારણીય કટોકટી ઊભી થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ટેલિવિઝન નિયમનકાર સંસ્થાના બોર્ડની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટે સરકારનો નિર્ણય ગેરકાયદેસર ગણાવ્યો હતો, પરંતુ રવિવારે કેબિનેટે આ ચુકાદાને માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સરકારે જણાવ્યું કે કોર્ટના આદેશના આધારે લેવામાં આવેલા કોઈપણ નિર્ણયો માન્ય ગણાશે નહીં.
કોમ્યુનિકેશન મંત્રી શ્લોમો કાર્હીએ સુપ્રીમ કોર્ટને સીધો પડકાર ફેંકતા કહ્યું કે કોર્ટને કાયદા ઉપર જવાની કોઈ સત્તા નથી અને કાયદાના વિરોધમાં આપવામાં આવેલા ચુકાદાને સરકાર માન્યતા આપશે નહીં. ન્યાયમંત્રી યારિવ લેવિને પણ દાવો કર્યો હતો કે સંસદે પસાર કરેલો કાયદો સર્વોચ્ચ છે અને તેને કોર્ટ રદ કરી શકે નહીં. તેમના મતે લોકશાહીમાં કાયદો બનાવવાનો અધિકાર સંસદનો છે અને કોર્ટનું કામ માત્ર તેનો અમલ કરવાનું છે.
સરકારના આ વલણથી દેશમાં લોકશાહી અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. વિપક્ષી પક્ષોએ આરોપ લગાવ્યો છે કે સરકાર ભવિષ્યમાં વધુ મહત્વના કોર્ટના ચુકાદાઓ, ખાસ કરીને આગામી ઓક્ટોબરમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંબંધિત નિર્ણયોને પણ અવગણવાનો રસ્તો તૈયાર કરી રહી છે.
આ પણ વાંચો: બદલાતી ઋતુમાં લાંબા સમય સુધી રહેતી કફ-ઉધરસને સામાન્ય ન ગણશો
વિવેચકોના મતે સરકારનો વાસ્તવિક હેતુ સરકારની ટીકા કરતી અગ્રણી ખાનગી ચેનલ ‘ચેનલ-13’ના વેચાણને અટકાવવાનો છે. ટેક ઉદ્યોગપતિ અને અબજોપતિ અસાફ રપ્પાપોર્ટના નેતૃત્વ હેઠળનું કન્સોર્ટિયમ આ ચેનલ ખરીદવા ઇચ્છે છે, પરંતુ સરકાર તેના પ્રત્યે અનુકૂળ નથી. નેતન્યાહૂ સરકાર પર લાંબા સમયથી ન્યાયતંત્ર અને મીડિયાની સ્વતંત્રતા નબળી પાડવાના પ્રયાસોના આરોપો લાગી રહ્યા છે. વર્ષ 2023માં શરૂ થયેલા વિવાદાસ્પદ ન્યાયિક સુધારા સામે દેશમાં મહિના સુધી વ્યાપક વિરોધ પ્રદર્શન પણ થયા હતા.
“આ રેડ લાઇન છે…”: રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ ઇશાક હેર્ઝોગએ સરકારના નિર્ણય સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે અદાલતના ચુકાદાનું પાલન ન કરવું એ એક એવી “રેડ લાઇન” છે, જે કોઈપણ સંજોગોમાં પાર ન કરવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે કાયદાના શાસનની અવગણના દેશની લોકશાહી વ્યવસ્થા અને બંધારણીય માળખા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
દેશમાં અરાજકતા ફેલાશે: વિપક્ષની ગંભીર ચેતવણી
ભૂતપૂર્વ વડાપ્રધાન નાફતાલી બેનેટે સરકારના નિર્ણયને દેશ માટે ખતરનાક ગણાવતા કહ્યું કે જો સરકાર કોર્ટના આદેશનું પાલન નહીં કરે તો રસ્તાઓ પર અરાજકતા ફેલાશે અને દેશની સંસ્થાઓ તૂટી પડશે. વિપક્ષના નેતા
યાઈર લેપિડે કહ્યું કે જે સરકાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકારતી નથી તે કાનૂની રીતે પોતાની નૈતિક માન્યતા ગુમાવે છે અને આવી સરકારના નિર્ણયોને સ્વીકારી શકાય નહીં. વિપક્ષે સરકાર પર સત્તાનો દુરુપયોગ કરીને લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.
શું હતો કેસ અને શું હતો ચુકાદો?
વિવાદ ઇઝરાયેલની ‘સેકન્ડ ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો’ના બોર્ડને લઈને ઊભો થયો હતો. આ સંસ્થા વ્યાવસાયિક ટીવી ચેનલોને લાઇસન્સ આપવાની અને તેમના નિયમન માટે જવાબદાર છે. સરકારે વર્તમાન બોર્ડને બાજુ પર રાખીને પોતાનું વૈકલ્પિક બોર્ડ નિયુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા મહિને આ નિમણૂકને ગેરકાયદેસર ઠેરવી અને હાલના બોર્ડને જ કાયદેસર ગણાવ્યો હતો. પરંતુ હવે નેતન્યાહૂ સરકારે કોર્ટના આ ચુકાદાને માનવાનો ઇનકાર કરીને હાલના બોર્ડ દ્વારા લેવામાં આવતા કોઈપણ નિર્ણયને અમાન્ય ગણાવવાની જાહેરાત કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પગલું ઇઝરાયેલમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સીધા ટકરાવનું સૌથી ગંભીર ઉદાહરણ બની શકે છે.
