ભય ભુંડો: ખેડૂત આંદોલન સમેટાઇ જાય તે માટે સરકારે ૨૪ કલાકમાં પરિપત્ર જાહેર કર્યો
ખાનગી વીજ કંપનીને જમીનની બજાર કિંમતના બે ગણા વળતર એડવાન્સમાં ચૂકવવા આદેશ
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા હેવી વીજલાઈનના ટાવર ઉભા કરી ખેડૂતોને પુરતું વળતર ચૂકવતા ન હોય જેની સામે એક પખવાડિયાથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોનો રોષ ડામવા માટે શુક્રવારે જમીનની બજાર કિંમતના બે ગણા વળતરની જાહેરાત કર્યા બાદ આંદોલન તાત્કાલીક સમેટાઈ જાય તે માટે રાતોરાત પરિપત્ર પણ બહાર પાડી દીધો છે. જો કે આંદોલનકારી ખેડૂતોએ હજુ સુધી પરિપત્રની નકલ મળી ન હોય આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. પરિપત્રનો અભ્યાસ કર્યાબાદ જ ખેડૂત સમિતિ આંદોલન અંગેનો નિર્ણય લેશે તેમ જણાવ્યું છે.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વીજ કંપની ૭૬૨ કે.વી.ની હેવી વીજલાઈનના ટાવર ઉભા કરી રહ્યા હોય અને અસરગ્રસ્ત ખેડૂતોને પુરતું વળતર નહીં ચૂકવી કંપની દાદાગીરી કરી રહી હોય જેના વિરોધમાં ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે જેતપર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
૧૫ દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને જબરદસ્ત સમર્થન મળતા રાજ્ય સરકાર સુધી તેનો રેલો આવ્યો હતો. ખેડૂતોના આંદોલનની આગ ઠારવા માટે રાજ્ય સરકારે કેબિનેટ બોલાવી તેમાં ખેડૂત તરફી મહત્વનો નિર્ણય લીધો હતો.
પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ શુક્રવારે ખેડૂતો માટેના રાહતના સમાચારની જાહેરાત કરી હતી જેમાં જંત્રી મુજબ નહીં પરંતુ જમીનની હાલની બજાર કિંમત નક્કી કરી તેનું બમણું વળતર ખેડૂતોને ચૂકવવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: સોનામાં સતત ઘટતા ભાવ અને આયાત ડ્યુટીમાં વધારાના કારણે બજારમાં ઘરાકીને લાગ્યું ગ્રહણ
રાજ્ય સરકારે ખેડૂત આંદોલનને ડામી દેવા માટે ૨૪ કલાકમાં જ પરિપત્ર પણ જાહેર કરી દીધો હતો. રાજ્ય સરકારમાં અમુક કામ મહિનાઓ સુધી થતાં નથી પરંતુ ખેડૂત આંદોલનના ડરને કારણે સરકારે તાત્કાલીક પરિપત્ર જાહેર કરી તેની અમલવારી કરવા ખાનગી વીજ કંપનીને સૂચના આપી દીધી છે. એટલું જ નહીં ખેડૂતોને પહેલાં વળતર ચૂકવ્યા બાદ જ ખેતરમાં હેવી વીજલાઈનના ટાવર ઉભા કરવા સૂચના કરાઈ છે.
રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ જેતપર ખાતે ઉપવાસી છાવણી ચાલુ રખાઈ છે. ખેડૂત સમિતિના જણાવ્યા પ્રમાણે પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ જ આંદોલન સમેટી લેવું કે ચાલુ રાખવું તેનો નિર્ણય લેવામાં આવશે.
