EPFનાં 31 લાખ ખાતાં નિષ્ક્રિય,9330 કરોડની જંગી રકમનું કોઈ લેવાલ નથી!
દેશભરમાં કર્મચારીઓના 30.91 લાખ નિષ્ક્રિય EPF ખાતાંમાં અંદાજે રૂ. 9,330 કરોડ બિનદાવેદાર પડ્યા હોવાનું RTI હેઠળ મળેલી માહિતીમાં સામે આવ્યું છે. ઇન્ડિયા ટુ ડે ના અહેવાલ મુજબ 31 માર્ચ, 2026 સુધીના આંકડા મુજબ ગયા વર્ષની સરખામણીએ નિષ્ક્રિય ખાતાંની સંખ્યામાં આશરે 92 હજારનો ઘટાડો થયો છે, જ્યારે બિનદાવેદાર રકમ પણ રૂ. 10,181 કરોડથી ઘટીને રૂ. 9,330 કરોડ થઈ છે. તેમ છતાં લગભગ 31 લાખ ખાતાંમાં કર્મચારીઓની નિવૃત્તિની બચત હજુ સુધી કોઈએ ક્લેમ કરી નથી.આ આંકડો દર્શાવે છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ અથવા તેમના વારસદારો સુધી PFની રકમ હજુ પહોંચી શકી નથી.
આ પણ વાંચો: મોદી કેબિનેટમાં કેટલાક અકલ્પ્ય ફેરફારોની રાજધાનીમાં ભારે ચર્ચા
સરકારે નવી પેન્શન સ્કીમ અમલમાં મૂકી છે ત્યારે કરવામાં આવેલી RTIમાં છેલ્લા પાંચ-છ વર્ષના નિષ્ક્રિય EPF ખાતાંના વર્ષવાર આંકડા, આધાર સાથે જોડાયેલા નિષ્ક્રિય ખાતાંની સંખ્યા અને તેમાં રહેલી રકમ, ઓટો-સેટલમેન્ટની સ્થિતિ તેમજ રૂ. 5 લાખથી વધુ જમા રકમ ધરાવતા નિષ્ક્રિય ખાતાં અંગે પણ માહિતી માંગવામાં આવી હતી. જોકે EPFOએ અગાઉના વર્ષોના આંકડા ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે આધાર-લિંક ખાતાંની વિગતો વિશ્વાસુ (ફિડ્યુશિયરી) સંબંધનો હવાલો આપી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. રૂ. 5 લાખથી વધુ બેલેન્સ ધરાવતા નિષ્ક્રિય ખાતાં અંગેની માહિતી પણ માંગેલા સ્વરૂપમાં ઉપલબ્ધ ન હોવાનું EPFOએ જણાવ્યું.
રૂ. 9,330 કરોડમાંથી શું થઈ શકે?
આ રકમ કેન્દ્ર સરકારની ઉડાન (UDAN) પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના પર અત્યાર સુધી થયેલા કુલ ખર્ચની લગભગ બરાબર છે.
કેન્દ્ર સરકારે 2026-27માં આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) માટે ફાળવેલી રકમની પણ લગભગ સમકક્ષ છે.
ત્રણ નવી IIT સ્થાપી શકાય અને ત્યાર બાદ પણ અંદાજે રૂ. 500 કરોડથી વધુ રકમ બચી શકે.
