ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી
ટેલિગ્રામ પર ફિલ્મો અને વેબ સીરિઝની ચોરી-છપાઈને લઈને કેન્દ્ર સરકાર આકરા મૂડમાં આવી ગઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે મેસેજિંગ એપ ટેલિગ્રામને કડક નોટિસ પાઠવીને 15 દિવસમાં પાઇરેટેડ કન્ટેન્ટ હટાવવા અને સિસ્ટમ કડક કરવાનો આદેશ આપ્યો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હવે માત્ર ચેનલ બ્લોક કરવાથી કામ નહીં ચાલે.
3,000 ચેનલ બ્લોક બાદ પણ પાઇરસી યથાવત
સરકારે અગાઉ પાઇરેટેડ કન્ટેન્ટ ફેલાવતી 3,000થી વધુ ટેલિગ્રામ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં પણ ફિલ્મો, OTT શો અને અન્ય ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટની ગેરકાયદે શેરિંગ અટકી નથી. આથી માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે ટેલિગ્રામને સત્તાવાર નોટિસ મોકલી છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે લશ્કર-જૈશના 23 આતંકીઓને UAPA હેઠળ જાહેર કર્યા આતંકવાદી
હવે જવાબદારી નક્કી કરો: રિપીટર અને એડમિન પર એક્શન
મંત્રાલયે જણાવ્યું કે IT Act 2000 અને IT Rules 2021 હેઠળ ટેલિગ્રામ એક Intermediary છે. એટલે તેણે સરકારની રાહ જોયા વિના જાતે જ પાઇરસી રોકવી પડશે. નોટિસમાં કહેવાયું છે કે વારંવાર કૉપિરાઇટ તોડતી ચેનલો, ગ્રૂપ્સ, બોટ્સ, એકાઉન્ટ્સ અને તેમના એડમિનિસ્ટ્રેટર્સ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે.
15 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ
સરકારે ટેલિગ્રામને 15 દિવસની અંદર ‘Action Taken Report’ સોંપવા જણાવ્યું છે. સાથે જ પ્રોડ્યુસર્સ, OTT પ્લેટફોર્મ્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે પોતાની Grievance Redressal Systemની સંપૂર્ણ માહિતી પણ આપવી પડશે. મંત્રાલયે યાદ અપાવ્યું કે Copyright Act 1957 અને Cinematograph Act 1952 હેઠળ પાઇરસી એ સિવિલ નહીં પણ ક્રિમિનલ ગુનો છે.
અગાઉ NEET સમયે પણ લાગ્યો હતો પ્રતિબંધ
નોંધનીય છે કે 21 જૂનની NEET-UG પુનઃપરીક્ષા દરમિયાન પેપર લીક રોકવા માટે સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો, જેને દિલ્હી હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો. સરકારનું કહેવું છે કે આ પગલાનો હેતુ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી, OTT અને ક્રિએટર ઇકોનોમીને પાઇરસીથી બચાવવાનો છે.
