જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે. 16 દિવસથી ચાલતા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે ખેડૂતોને જંત્રીના બદલે બજાર કિંમતના આધારે બમણું વળતર ચૂકવાશે. એટલું જ નહીં, પોલની ચારે બાજુ વધારાનું એક મીટર પણ ગણતરીમાં લેવાશે.
ખેડૂત સંગઠનોની રજૂઆત રંગ લાવી
ભારતીય કિસાન સંઘ અને કિસાન મોરચા દ્વારા લાંબા સમયથી ખેતરમાંથી પસાર થતી વીજ પોલ લાઇનના વળતર મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી હતી. ખેડૂતો 16 દિવસથી આંદોલન પર હતા. ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને વિવિધ વિભાગોના વડાઓ સાથે સતત 10 થી 12 દિવસ સુધી મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો. અંતે સરકારે ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો.
જંત્રી નહીં, હવે માર્કેટ રેટથી ગણતરી
અત્યાર સુધી ખેડૂતોને વીજ લાઇનના વળતર પેટે જંત્રીના બમણા દરે રકમ ચૂકવવામાં આવતી હતી. જંત્રી અને બજાર કિંમત વચ્ચે મોટો તફાવત હોવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળતું ન હતું. હવે સરકારે ઉદાર વલણ અપનાવીને નક્કી કર્યું છે કે વળતરની ગણતરી જંત્રીના બદલે માર્કેટ રેટ એટલે કે બજાર કિંમતના આધારે થશે અને તેનું બમણું વળતર ખેડૂતોને આપવામાં આવશે.
પોલની ફરતે વધારાનું એક મીટર પણ ગણાશે
ખેડૂતોને વધુ આર્થિક લાભ મળે તે માટે સરકારે બીજો મોટો નિર્ણય લીધો છે. હવે વીજ પોલની ચારે બાજુ વધારાનું એક મીટર જમીન પણ વળતરની ગણતરીમાં સામેલ કરવામાં આવશે. આનાથી વળતરની રકમમાં નોંધપાત્ર વધારો થશે.
ખેડૂતોને મળશે યોગ્ય અને પૂરતું વળતર
સરકારના આ નવા નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેતરમાં વીજ લાઇન જવાથી થતા નુકસાનનું હવે યોગ્ય અને પૂરતું વળતર મળી રહેશે. ખેડૂત આગેવાનોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને તેને ખેડૂતોના હિતમાં લેવાયેલો ઐતિહાસિક પગલું ગણાવ્યો છે.
