જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ કમિટીના વડા ચેતન નંદાણીને હટાવાયા
આઈએએસ કેતન જોષીને જવાબદારી: ડિમોલિશન પાછળ ૨૫ શાખાને બિલ બનાવ્યા હોય એકઠા કરવાનું શરૂ
નંદાણીએ એક વખત સમિતિ સાથે બેઠક પણ કરી લીધી હતી: `અભ્યાસ’ લાંબો ચાલશે પણ રિપોર્ટ ધગધગતો બનવાના ભણકારા
રાજકોટના જંગલેશ્વરમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવેલા ડિમોલિશન પાછળ ચા-પાણી-નાસ્તો, વીડિયો શૂટિંગ, ફોટોગ્રાફી, ભોજન સહિતનો ખર્ચ ધારણા કરતા વધુ કરવામાં આવ્યો હોય જબરદસ્ત વિવાદ શરૂ થઈ ગયો છે. બજારભાવ કરતા તંત્રએ વધુ ભાવ ચૂકવી કોઈને `લાભ’ કરાવ્યો હોવાના સવાલોનો મારો થવા લાગતા આ તમામ ખર્ચની તપાસ કરવા માટે મેયરના અનુરોધ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સોમવારે તપાસ સમિતિની રચના થયા બાદ બુધવારે જ તેમાં મોટો ફેરફાર પણ થઈ જતાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. જો કે આ ફેરફાર પ્રકરણની તટસ્થ અને તલસ્પર્શી તપાસ થઈ શકે તે માટે કરવામાં આવ્યો હોવાનો જવાબ પણ તંત્રવાહકો તરફથી મળી રહ્યો છે.
આ સમિતિના વડા તરીકે નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત સમિતિમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર બી.એલ.કાથરોટિયા, સિટી ઈજનેર પરેશ અઢીયા, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિની રચના સોમવારે થયા બાદ બુધવારે સાંજના સમયે સમિતિના વડા એવા સી.કે.નંદાણીને પડતા મુકી તેમના સ્થાને નાયબ મ્યુનિસિપલ કમિશનર (આઈએએસ) કેતન જોષીને વડા તરીકેની જવાબદારી સોંપતો હુકમ કરવામાં આવ્યો હતો.
એકંદરે રાતોરાત આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો તેને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ કચેરીમાં સાંભળવા મળી હતી. બીજી બાજુ આ સમિતિની તપાસ માત્રને માત્ર જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ પૂરતી જ મર્યાદિત હોય તત્કાલિન વડા સી.કે.નંદાણી દ્વારા સમિતિમાં સામેલ સભ્યો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. આ ડિમોલિશન દરમિયાન ૨૫ જેટલી શાખા દ્વારા અલગ-અલગ બિલ બનાવવામાં આવ્યા હોય આ તમામ બિલ એકઠા કરવાનું શરૂ કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે કોઈ પ્રકારની કચાશ રાખવામાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય તેના કારણે જ સીનિયર કક્ષાના આઈએએસ અધિકારીને સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ ડીએમસી કેતન જોષી પાસે પીજીવીસીએલના એમ.ડી.તરીકેનો ચાર્જ પણ હોય હવે તેમના ઉપર કામગીરીનું વધારાનું ભારણ આવશે તે પણ નિશ્ચિત છે.
