સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે બન્ને કિંમતી ધાતુની દાણચોરી પણ વધી રહી છે. બીલ વગરના સોનુ-ચાંદી મોટાપાયે ઘૂસાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ રેલવે પોલીસને મળેલી બાતમીના આધારે ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી આધાર-પુરાવા વગરના સોના-ચાંદી અને રોકડ સાથે વેરાવળના વૃધ્ધ મળી આવતા પોલીસે વૃધ્ધની અટકાયત કરી શંકાસ્પદ રોકડ અને સોના-ચાંદી મળી ૫૯.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પીઆઈ એચ.એમ. રાણાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે વેરાવળ-રાજકોટ ટે્રનમાંથી એક વૃધ્ધ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
આ પણ વાંચો: ભાવનગર-અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં હવામાનમાં પલટો: હળવાથી મધ્યમ ઝાપટાં
રેલવે પોલીસે શંકાના આધારે ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળના જૂના કુંભારવાડામાં રહેતા રસિકલાલ છોટાલાલ જગડા (ઉ.વ.૬૫)ના સામાનની તલાશી લેતા આધાર-પુરાવા કે બીલ વગરનો રૂા.૪.૪૨ લાખનો ચાંદીનો ઢાળિયો, ૩૪.૫૦ લાખનો સોનાનો ઢાળિયો, ૩.૯૦ લાખનું ડાયમંડવાળું બ્રેસલેટ, ૧.૫૦ લાખનું સોનાનું બ્રેસલેટ અને ૧૪.૯૫ લાખની રોકડ રકમ મળી આવી હતી.
સોના-ચાંદીનો ઢાળિયો અને રોકડ બાબતે વૃધ્ધની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા રેલવે પોલીસે શક પડતી મિલકત ગણી ૫૯.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની પૂછપરછમાં વૃધ્ધ રાજકોટ-વેરાવળ વચ્ચે સોની વેપારીઓ માટે આંગડિયાનું કામ કરતા હતા. કોઈ વેપારી સોનુ-ચાંદી કે રોકડ આપે તો તે જે તે વ્યક્તિને પહોંચતુ કરી દેતા હતા જે બાબતે તેમને સોની વેપારી તરફથી કમિશન મળતું હતું.
સોના-ચાંદીનો ઢાળિયો અને રોકડ ક્યા ક્યા સોની વેપારીની છે તે જાણવા વૃધ્ધની પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. આ કામગીરી રેલવે પીઆઈ એચ.એમ. રાણા, પીએસઆઈ બી.જે. જાડેજા, કે.યુ. વાળા, હર્ષદભાઈ સહિતના સ્ટાફે કરી છે.
