ભારત ટેક્સીએ એરપોર્ટ ઓથોરિટી સાથે કરાર કર્યા
હવાઇ મુસાફરોને હવે વ્યાજબી દરે એરપોર્ટ જવા-આવવા માટે ટેક્સી મળી રહેશે
આજના યુગમાં નાગરિકોને ઝડપી અને રાહતદરે મુસાફરીની સવલતો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓલા, ઉબેર અને રેપિડો જેવી ભારત ટેક્સી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે જેમાં નાગરિકોની સુવિધા માટે રાજ્ય પોલીસતંત્રએ પણ ભારત ટેક્સી સાથે મહત્વના એમઓયુ સાઈન કર્યા છે ત્યારે મુસાફરોની સગવડતા માટે એરપોર્ટ ઓથોરિટીએ પણ ભારત ટેક્સી સાથે મહત્વના એમઓયુ સાઈન કર્યા છે જેના કારણે રાજકોટ એરપોર્ટ સહિતના સ્થળોએ હવે સસ્તા દરે મુસાફરોને ટેક્સી સહિતની સુવિધા મળી રહેશે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજતરાતના પ્રવાસે છે ત્યારે શનિવારે ગાંધીનગર ખાતે ૪૦૦૦ ટેક્સીના ચાલકોની ઉપસ્થિતિમાં ભારત ટેક્સી પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વૃધ્ધ પાસેથી કિંમતી ધાતુની દાણચોરી ઝડપાઇ
ભારત ટેક્સી પ્રોજેક્ટ સૌપ્રથમ દિલ્હીમાં લોન્ચ કર્યા બાદ હવે ગુજરાતના ૧૪ શહેરોમાં તેના પ્રારંભ કરાયો છે. આ સાથે ભારત ટેક્સીએ ગુજરાત પોલીસ, એરપોર્ટ ઓથોરિટી સાથે મુસાફરોની સગવડતા ખાતર મહત્વના કરાર કર હસ્તાક્ષર કર્યા છે.
એરપોર્ટ ઓથોરિટી અને ભારત ટેક્સી વચ્ચે થયેલા એમઓયુમાં હવેથી રાજકોટ સહિત રાજ્યના તમામ એરપોર્ટ પર હવાઈ મુસાફરોને વ્યાજબી દરે ભારત ટેક્સી મળી રહેશે. આ મહત્વના કરારથી રાજકોટ નજીક આવેલ મોરબી, જામનગર, જેતપુર, ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના શહેરીજનોને ફાયદો થશે.
