POKને ભૂખે મારવાનો પ્રયાસ! નિષ્ઠુર પાકિસ્તાન દ્વારા ચારે બાજુથી ઘેરાબંધી
ખોરાક, દવા અને ઇંધણના પુરવઠા પર રોક: બજારો બંધ, દવાઓ ખૂટી, પેટ્રોલ પંપો ખાલી ખમ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં પાકિસ્તાન વિરોધી આંદોલન વધુ ઉગ્ર બનતાં ઇસ્લામાબાદે ખોરાક, દવાઓ અને ઇંધણના પુરવઠા પર અંકુશ મૂક્યાના ગંભીર આક્ષેપો થયા છે. પાકિસ્તાન આ આરોપોને નકારી રહ્યું છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓ, ટ્રકચાલકો અને વિરોધ પક્ષોનો દાવો છે કે ચેકપોસ્ટો પર આવશ્યક ચીજવસ્તુઓ અટકાવવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અછત અને લોકોની હાલાકી વધી છે.
છેલ્લા કેટલાય દિવસોથી ચાલતા વિરોધ પ્રદર્શન અને બંધને કારણે POKમાં જનજીવન ખોરવાઈ ગયું છે.
બજારો, દુકાનો તથા પરિવહન વ્યવસ્થા લગભગ ઠપ થઈ ગઈ છે. મુઝફ્ફરાબાદ, રાવલાકોટ, બાગ, નીલમ વેલી સહિત અનેક વિસ્તારોમાં લોટ, ચોખા, દવાઓ અને પેટ્રોલની ગંભીર અછત સર્જાઈ છે. કેટલાક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે તેઓ પાકિસ્તાનમાંથી ખરીદેલો સામાન પણ POKમાં લઈ જઈ શકતા નથી અને પોલીસે તેમને ખાદ્યસામગ્રી તથા દવાઓ ફેંકી દેવા મજબૂર કર્યા. બીજી તરફ, અનેક ટ્રકોને સરહદી ચેકપોસ્ટો પર દિવસો સુધી રોકી રાખવામાં આવતા શાકભાજી સહિતનો માલ પણ બગડી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને આંદોલનકારી સંગઠન JAAC સામે કડક કાર્યવાહી શરૂ કરી છે, છતાં લોકોનો વિરોધ વધુ તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર
આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે
JAACના નેતૃત્વ હેઠળ ચાલી રહેલું આંદોલન હવે POKના અનેક શહેરો અને ગામોમાં ફેલાઈ ગયું છે. રાવલાકોટના ઈદગાહ મેદાનમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા “મહાધરણામાં” 70 હજારથી વધુ લોકો જોડાયા હતા. આંદોલનકારીઓએ હવે એક લાખથી વધુ લોકો સાથે રાવલાકોટથી મુઝફ્ફરાબાદ સુધી વિશાળ કૂચ કરવાની ચેતવણી આપી છે. પાકિસ્તાને JAACને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના સમર્થકો સામે કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ તેના કારણે લોકોમાં અસંતોષ વધુ વધી રહ્યો હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.
