‘મારી બહેનને પટ્ટાથી માર માર્યો હતો, મૃતદેહ પર ઈજાના નિશાન છે’, હોમગાર્ડ પતિ અને સાસરિયાઓ પર શારીરિક-માનસિક ત્રાસ આપવાનો ભાઈનો ગંભીર આક્ષેપ
ઉપલેટા તાલુકાના ખારચીયા શહીદ ગામે ૩૦ વર્ષીય પરિણીતાનો મૃતદેહ તેની જ વાડીએથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે મૃતકના પિયર પક્ષે સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનો અને માર મારીને હત્યા કરી લાશને લટકાવી દીધી હોવાનો ગંભીર આક્ષેપ કરતા આ મામલો ગરમાયો છે. પરિવારની માંગણીને પગલે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, ખારચીયા શહીદ ગામે રહેતા ઈલાબેન હિતેન્દ્રભાઇ બગડા (ઉ.વ. ૩૦)નો મૃતદેહ મંગળવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમની વાડીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે ભાયાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ ધોરાજીના મોટી વાવડી ગામે રહેતા મૃતકના ભાઈ રાજેશને થતાં તેઓ પરિવાર સાથે હોસ્પિટલ દોડી ગયા હતા. પીએમ રૂમમાં જઈને જોતા બહેનના કપાળ અને પગના ભાગે ઈજાના નિશાનો જોવા મળતા ભાઈએ આત્મહત્યા નહિ પરંતુ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: રાજકોટ રેલવેનો એક જ દિવસમાં 11.22 કરોડની કમાણી કરી
મૃતક ઈલાબેનના ભાઈ રાજેશભાઈએ જણાવ્યું હતું કે, આશરે ૧૨ વર્ષ પહેલા તેમની બહેનના લગ્ન હિતેન્દ્ર લાખાભાઈ બગડા સાથે થયા હતા. હિતેન્દ્ર ભાયાવદર પોલીસમાં હોમગાર્ડ તરીકે નોકરી કરે છે અને ખેતી પણ કરે છે. લગ્નજીવન દરમિયાન તેઓને સંતાનમાં ૧૦ વર્ષનો દીકરો અને ૭ વર્ષની દીકરી છે. રાજેશભાઈનો આક્ષેપ છે કે, સાસરિયાઓ દ્વારા ઈલાબેનને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બનેવીએ એક વખત ઈલાબેનને પટ્ટા વડે માર પણ માર્યો હતો. ગત રક્ષાબંધન પર ઈલાબેન પિયર મોટી વાવડી આવ્યા ત્યારે સાસુ-સસરાએ ત્યાં આવીને બધાની વચ્ચે અપશબ્દો કહી, ‘તું અમારે જોઈએ જ નહીં’ તેમ કહી ગર્ભિત ધમકીઓ આપી હતી. અવારનવાર ઝઘડા થવા છતાં બાળકોના ભવિષ્યને ખાતર ઈલાબેન સમાધાન કરીને સાસરે જતી રહેતી હતી.
વધુમાં જણાવ્યું કે, મંગળવારે સાંજે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી બહેને પગલું ભરી લીધાની જાણ કરી હતી. પહેલા ઉપલેટા અને બાદમાં ભાયાવદર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બનેવી કે સાસરા પક્ષનું કોઈ હાજર ન હતું. બનાવ ક્યાં અને કેવી રીતે બન્યો તેની જાણ પણ સાસરિયાએ કરી નહોતી, જે શંકા ઉપજાવે છે. માવતર પક્ષની સ્પષ્ટ માંગ અને શંકાના આધારે ભાયાવદર પોલીસની ટીમે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સત્ય સામે આવશે ત્યારે બીજી તરફ, બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
