૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં છાત્રના આત્મહત્યાના કેસોમાં ૧૬ ટકાનો વધારો: રાજ્ય સરકારને કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએે વિદ્યાર્થીના આપઘાત પાછળ જવાબદાર ઠેરવી
શિક્ષણના નામે ચાલતી ઉઘાડી લૂંટ, બેફામ ફી વધારો, પેપર લિકકાંડના કારણે આજનો વિદ્યાર્થી હતાશામાં ધકેલાઈ રહ્યો છે અને આપઘાતનું અંતિમ પગલું ભરી લે છે. તાજેતરમાં નીટની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ દેશમાં એક ડઝનથી વધુ નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. એનસીઆરવીના અહેવાલ મુજબ દેશમાં દરરોજ સરેરાશ ૪૦થી વધુ વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં એકલા ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે જેની પાછળ જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
આજના સોશિયલ મીડિયાના યુગમાં માણસની લાઈફસ્ટાઈલ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને ટીવીના કારણે બાળકોના ભવિષ્ય પર પણ તેની અસર જોવા મળી છે. એક તરફ વાલીઓ તેમના કાર્યમાં રચ્યાપચ્યા રહે છે. બીજી બાજુ શિક્ષણ ક્ષેત્ર પણ દિવસેને દિવસે કથળી રહ્યું છે. સ્કૂલો-કોલેજોમાં અભ્યાસની નહીં પરંતુ માર્કસની જાણે હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે જેમાં આજનો છાત્ર પીસાઈ રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી ભણતરના ભાર અને પેપર લીકકાંડના કારણે વિદ્યાર્થી નિરાશામાં ધકેલાઈ રહ્યો છે. પરીક્ષાનું અસહ્ય દબાણ અને બેરોજગારી વચ્ચે વિદ્યાર્થી ચક્કીના આંટાની માફક પીસાઈ રહ્યા છે તેમાંય પેપર લીકકાંડના કારણે છાત્રોએ કરલી તૈયારીઓ પર પાણી ફરી વળે છે અને વધુ નિરાશામાં ધકેલાઈને આત્મહત્યાનો માર્ગ અપનાવી લે છે.
આ પણ વાંચો: શહેર ભાજપ મહામંત્રી વલ્લભ દૂધાત્રા નકશો લઈને કચેરીએ દોડી આવ્યા !
એનસીઆરબીના અહેવાલ મુજબ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન દેશમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો, કિશોરીઓએ આત્મહત્યા કરી લઈ જીવનલીલા સંકેલી લીધી છે. એક અહેવાલ મુજબ દેશમાં દરરોજ ૪૦થી વધુ છાત્ર આપઘાત કરી લે છે.
છેલ્લા ચાર વર્ષમાં એકલા ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે જે સમાજને લાલબતી દર્શાવે છે. શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટ, પેપર લીકકાંડ, ભણતરનો ભાર અને ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે આપઘાતનું પ્રમાણ ચિંતાજનક વધ્યું છે.
ગુજરાતમાં અને દેશમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ ભાજપ સરકારના વાઈબ્રન્ટ શિક્ષણ મોડલ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડો.મનિષ દોએ આંગળી ઉઠાવી ચાબખા માર્યા છે. ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતાં ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક જ વર્ષમાં ૫૬૮ છાત્રોએ આત્મહત્યા કરી છે જે રાજ્ય અને વાલીઓ માટે ચિંતાજનક બાબત છે. ૨૦૨૦-૨૧માં ૧૫૧, ૨૦૨૨-૨૩માં ૧૬૧, ૨૦૨૩-૨૪માં ૧૮૩, ૨૦૨૪-૨૫માં ૫૬૮ છાત્રોએ આત્મહત્યા કરી છે.
દેશમાં ૨૦૨૪માં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે જેની પાછળ ડિગ્રી વગર નોકરીની કોઈ ખાતરી નથી, ભરતી પરીક્ષાઓ વર્ષો સુધી લટકી રહે છે જેના કારણે યુવાનો હતાશ થઈ જાય છે જેની પાછળ સરકાર જવાબદાર હોવાના કોંગી અગ્રણીએ આક્ષેપ કરી પરીક્ષાની પ્રણાલી સુધારવા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા બંધ કરવા તેમજ આપઘાત અટકાવવા કાઉન્સેલિંગ સેન્ટર અને હેલ્પલાઈન શરૂ કરવા માંગણી કરી છે.
