જામકંડોરણાના અકસ્માત થતાં એકના એક ૩ વર્ષના માસૂમ પુત્રનું મોત, માતા ગંભીર
જામકંડોરણાના ચિત્રાવડ ગામની ઘટના, પરિવાર વાડીએથી પરત ફરતો હતો દરમિયાન સર્જાયો અકસ્માત
જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે વાડીએથી પરત ફરતી વખતે બાઇક સ્લીપ થઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ વર્ષના માસૂમ બાળકનું રાજકોટ સારવારમાં મોત નિપજ્યું છે. જ્યારે આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી તેની માતા હાલ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામકંડોરણાના ચિત્રાવડ ગામમાં રહેતા સંજયભાઈ પ્રવિણભાઈ રાજગોર ગત તા. ૧૪ જૂનના રોજ પોતાના પત્ની રેખાબેન (ઉં.વ. ૨૨) અને ત્રણ વર્ષના નાના પુત્ર સંદીપને બાઇકમાં બેસાડીને પોતાના ભાઈની વાડીએ આંટો મારવા માટે ગયા હતા.વાડીએથી મુલાકાત લીધા બાદ પરિવાર જ્યારે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક જ બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર રેખાબેન અને માસૂમ સંદીપને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો: સોની વેપારીએ દુકાનમાં જ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ
ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન જ ૩ વર્ષના માસૂમ સંદીપે દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા માતા રેખાબેનની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, મૃતક સંદીપ તેના માતા-પિતાનો એકનો એક જ પુત્ર હતો. હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ જતાં અને વ્હાલસોયા પુત્રની છત્રછાયા ગુમાવતા રાજગોર પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.
