‘ટ્રમ્પે નિરાશામાં દબાણ વધારવા માટે બધા જ હથિયારો અજમાવી લીધા”
કેટલીક અનિચ્છા છતાં રાષ્ટ્રીય હિતોની ખાતરી બાદ મંજૂરી આપી
ભવિષ્યની સીધી વાતચીતનો અર્થ અમેરિકાના વલણને સ્વીકારવો એમ નથી
અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયાનો સંઘર્ષ સમાપ્ત કરવા થયેલા સમજૂતી કરારને ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ મંજૂરી આપી છે, જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે તેમનો મૂળભૂત અભિપ્રાય અલગ હતો. ખામેનીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન તથા સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્યોએ ઈરાનના હકો, રાષ્ટ્રીય હિતો અને ‘રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ના હિતોનું રક્ષણ કરવાની ખાતરી આપતાં તેમણે કરારને મંજૂરી આપી. તેમણે દાવો કર્યો કે સંઘર્ષ સમાપ્ત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે “નિરાશામાં તમામ પ્રકારના દબાણના ઉપાયો” અજમાવ્યા હતા. ખામેનીએ ભારપૂર્વક કહ્યું કે આગામી દિવસોમાં થનારી રૂબરૂ વાટાઘાટોનો અર્થ અમેરિકાની માંગણીઓ સ્વીકારવાનો નથી અને જો વોશિંગ્ટન અતિશય શરતો મૂકે તો ઈરાન તેને સ્વીકારશે નહીં.
આ પણ વાંચો: કેનેડાએ કતરને ૬-૦થી રગદોળી નાખ્યું
સ્વિત્ઝરલેન્ડ બેઠક અનિશ્ચિત
અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી તબક્કાની ચર્ચા અંગે હજુ અનિશ્ચિતતા છે. અગાઉ બંને દેશોના પ્રતિનિધિઓ શુક્રવારે સ્વિત્ઝરલેન્ડમાં મળી કરાર સંબંધિત ઔપચારિકતાઓ અને તકનીકી ચર્ચા કરશે એવી માહિતી સામે આવી હતી. જોકે અમેરિકી ઉપપ્રમુખ જેડી વાન્સે હવે આ મુલાકાત સપ્તાહના અંતે થવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે ઈરાની પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે હજુ કંઈ જ અંતિમ રીતે નક્કી થયું નથી. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ન હોવાથી આવી સીધી ચર્ચાઓને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
હોર્મુઝ જળમાર્ગ ફરી ધમધમ્યો
કરાર બાદ હોર્મુઝ જળમાર્ગમાં તણાવ ઘટતા વૈશ્વિક ઊર્જા પરિવહન ફરી ગતિમાં આવ્યું છે. અમેરિકી સેનાએ ઈરાનના બંદરો પરનો નૌકાબંધીનો અંકુશ હટાવ્યાની જાહેરાત કરતાં જહાજોની અવરજવર ફરી શરૂ થઈ છે, જોકે અમેરિકી યુદ્ધજહાજો હજુ વિસ્તારમાં તૈનાત રહેશે. સમુદ્રી ટ્રેકિંગ ડેટા મુજબ ત્રણ સાઉદી તેલ ટેન્કર હોર્મુઝ મારફતે બહાર નીકળ્યાં, જ્યારે ફ્રાન્સનું એલએનજી જહાજ ‘મરાઈખ’ સંઘર્ષ શરૂ થયા પછી આ માર્ગેથી પસાર થનારું પ્રથમ યુરોપિયન ગેસ વાહક જહાજ બન્યું. ઈરાને જળમાર્ગની અવરજવર માટે નવી સરકારી વ્યવસ્થા અમલમાં મૂકી છે અને આગામી 60 દિવસ સુધી પસાર થનારા જહાજો પાસેથી કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં નહીં આવે તેવી જાહેરાત કરી છે.
