મમતા બેનરજીને કોલકતા હાઇકોર્ટનો ઝટકો
વિપક્ષના નેતા પદે ઋતબ્રત યથાવત વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર
બળવાખોર ધારાસભ્યને સ્પીકરે આપેલી માન્યતામાં હાલ કોઈ હસ્તક્ષેપ નહીં; 28 જુલાઈએ આગામી સુનાવણી
કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે ઋતબ્રત બેનર્જીને અપાયેલી માન્યતા સામે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) દ્વારા કરવામાં આવેલી અરજી પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજકીય ઝટકો લાગ્યો છે. ન્યાયમૂર્તિ કૃષ્ણ રાવે સ્પષ્ટ કર્યું કે અરજદારના પક્ષમાં વચગાળાનો આદેશ આપવા માટે પ્રથમ દૃષ્ટિએ પૂરતો આધાર દેખાતો નથી. પરિણામે સ્પીકર રથિન બસુનો નિર્ણય હાલ યથાવત રહેશે અને ઋતબ્રત બેનર્જી વિરોધપક્ષના નેતા તરીકે કાર્ય કરતા રહેશે.
મમતા બેનર્જીના નજીકના ગણાતા ટીએમસી ધારાસભ્ય શોવનદેબ ચટ્ટોપાધ્યાયે સ્પીકરના નિર્ણયને પડકારતી અરજી કરી હતી. ટીએમસીમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ આંતરિક વિખવાદ ઉભો થયો હતો અને મોટી સંખ્યામાં ધારાસભ્યો બળવાખોર બન્યા હતા. પાર્ટી નેતૃત્વે શોવનદેબ ચટ્ટોપાધ્યાયને વિધાનમંડળ દળના નેતા તરીકે નક્કી કર્યા હતા, પરંતુ ઋતબ્રત બેનર્જીએ 58 ધારાસભ્યોનું સમર્થન મેળવી વિરોધપક્ષના નેતા તરીકે દાવો કર્યો હતો. બાદમાં સ્પીકરે તેમના દાવાને માન્યતા આપી હતી. આ નિર્ણય સામે કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો.
કોર્ટે તમામ પક્ષોને આગામી સુનાવણી પહેલાં સોગંદનામા દાખલ કરવા સૂચના આપી છે. કેસની આગામી સુનાવણી 28 જુલાઈએ હાથ ધરાશે. આ દરમિયાન ઋતબ્રત બેનર્જીનું પદ યથાવત રહેશે.
સ્પીકરને હાઇકોર્ટના તીખા સવાલો
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વિધાનસભાના સ્પીકર રથિન બસુની કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે 9 મેના રોજ શોવનદેબ ચટ્ટોપાધ્યાયને વિરોધપક્ષના નેતા તરીકે માન્યતા આપવા ટીએમસી એ આપેલા પત્ર પર કોઈ નિર્ણય કેમ લેવામાં આવ્યો નહીં, જ્યારે 3 જૂને બળવાખોર જૂથ તરફથી મળેલા પત્ર પર તાત્કાલિક કાર્યવાહી કરીને ઋતબ્રત બેનર્જીને માન્યતા આપી દેવામાં આવી. કોર્ટે એ પણ નોંધ્યું કે પ્રથમ રજૂઆતને અવગણવા પાછળ સ્પીકરે કોઈ સ્પષ્ટ કારણ રજૂ કર્યું નથી. બીજી તરફ, શોવનદેબના સમર્થનમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ધારાસભ્યોની સહી બનાવટી હોવાના આક્ષેપો પણ થયા છે, જેને લઈને સીઆઈડી તપાસ ચાલી રહી છે અને આ સમગ્ર વિવાદ હવે રાજકીય તેમજ કાનૂની રીતે વધુ ગંભીર બન્યો છે.
