માધવપુર મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાની ગેરરીતિ: વકીલની વડાપ્રધાનને ફરિયાદ
સાંસ્કૃતિક વિભાગના જ નિવૃત્ત અધિકારીની એજન્સી દ્વારા રજૂ કરાયેલા રૂા.૩.૯૩ કરોડના કથિત બોગસ બિલને અટકાવવા પોરબંદરના એડવોકેટની માંગ
પોરબંદર જિલ્લાના સુપ્રસિદ્ધ માધવપુર ઘેડ મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે પોરબંદરના એડવોકેટ ભનુભાઈ એન. ઓડેદરાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના કમિશનરને એક સનસનીખેજ લેખિત ફરિયાદ પાઠવી છે. આ ફરિયાદમાં મુખ્યત્વે ૩૦ માર્ચથી ૦૩ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાયેલા માધવપુર મેળામાં કલાકારોના રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સંભાળતી એજન્સી દ્વારા રજૂ કરાયેલા રૂ. ૩,૯૩,૯૫,૯૨૧ (ત્રણ કરોડ ત્રાણું લાખ પંચાણું હજાર નવસો એકવીસ) ના તોતિગ બિલને પડકારવામાં આવ્યું છે. એડવોકેટનો ગંભીર આક્ષેપ છે કે જે કામ માત્ર ૫૦ લાખ રૂપિયા જેટલા ખર્ચમાં આસાનીથી થઈ શકે તેમ છે, તેનું આટલું મોટું બોગસ બિલ મંજૂર કરાવવા માટે મોટા પાયે સરકારી બાબુઓની મિલીભગતથી ગેરરીતિ આચરવામાં આવી છે.
આ પણ વાંચો: ચિટીંગ અને વિશ્વાસઘાતના ગુનામાં રાજકોટ જેલના તત્કાલીન ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ નિદોર્ષ
આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે એજન્સીને આ કોન્ટ્રાક્ટ અપાયો છે તે `સ્ટેવેલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ’ અન્ય કોઈની નહીં પરંતુ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાંથી જ નિવૃત્ત થયેલા અધિકારી નીરવ મુનશીની છે. વકીલે આક્ષેપ કર્યો છે કે નીરવ મુનશીએ વિભાગના વર્તમાન અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચીને આ ટેન્ડર મેળવ્યું હતું અને આ સંદર્ભે ગત ૧૦ એપ્રિલ ૨૦૨૬ના બિલનું પેમેન્ટ તાત્કાલિક અટકાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
ભ્રષ્ટાચારની આ વણથંભી વણઝાર માત્ર વ્યવસ્થાપન પૂરતી સીમિત નથી, પરંતુ કલાકારોને ચૂકવવામાં આવતી રકમમાં પણ ભારે વિસંગતતાઓ હોવાનું પત્રમાં જણાવાયું છે. લોકડાયરાના જે સામાન્ય કલાકારો બે લાખ રૂપિયા લેતા હોય છે, તેમના નામે લાખો રૂપિયાની વધુ ચૂકવણી દર્શાવવામાં આવી છે. ફરિયાદમાં ટાંકવામાં આવેલા આંકડાઓ મુજબ, અલ્પાબેન પટેલ (લોકડાયરો) ને રૂ. ૪,૪૨,૫૦૦, રાજભા ગઢવીને રૂ. ૩,૫૦,૦૦૦ અને ગીતાબેન રબારીને રૂ. ૫,૯૦,૦૦૦ જેવી માતબર રકમોના બિલો રજૂ કરાયા છે. આ ઉપરાંત વણઝારા આદિવાસી નૃત્ય માટે રૂ. ૩,૩૨,૬૪૦ અને અન્ય ખર્ચાઓ પણ શંકાના ઘેરામાં છે. પ્રજાના ટેક્સના પરસેવાની કમાણી મેળાના નામે વેડફાઈ રહી છે અને જો આ બોગસ બિલો ચૂકવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી ચૂકવણું કરનાર અધિકારીઓની રહેશે તેવી સ્પષ્ટ ચીમકી વકીલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
આ કથિત ગોલમાલના તાર અન્ય વિભાગો સુધી પણ પહોંચતા હોવાની શંકા છે. ગુજરાત પ્રવાસન વિભાગ, ગાંધીનગર અને માર્ગ-મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત – પોરબંદર) પાસે માહિતી માંગવા છતાં કોઈ વિગતો અપાઈ નથી, જે પ્રકરણમાં કંઈક મોટું રંધાઈ રહ્યું હોવાની શંકા દ્રઢ કરે છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા બેનર, મંડપ અને ગ્રાઉન્ડ લાઈટિગ વગેરે માટે રોક્ષી ઈલેક્ટ્રોનિક્સ’ને રૂ. ૩૦ લાખથી વધુનું બિલ અન્ય કામો દર્શાવીને ચૂકવવાની પેરવી ચાલી રહી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. અંતમાં, એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ સરકાર સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે કે જ્યાં સુધી નિવૃત્ત અધિકારી નીરવ મુનશી અને તેમની એજન્સી સામે કોઈ તટસ્થ એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ન થાય, ત્યાં સુધી આ તમામ પેમેન્ટ તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે, જેથી સરકારી તિજોરીને થતું કરોડોનું નુકસાન અટકાવી શકાય.
