સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે 2027ની વિધાનસભાની રણભેરી અત્યારથી જ વગાડી દીધી છે. ગુજરાતમાં પાટીદાર વોટબેંકને પોતાની સાથે જોડી રાખવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે કડવા પાટીદાર સમાજના અગ્રણી અને સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે હાઈપ્રોફાઈલ બેઠક કરી. આ પહેલાં ડેપ્યુટી CM હર્ષ સંઘવી લેઉઆ પાટીદારના પ્રમુખ નરેશ પટેલને મળી ચૂક્યા છે. લેઉઆ-કડવા બંને સમીકરણ સાધીને ભાજપ 2027ની ચૂંટણી માટેનું ગ્રાઉન્ડ અત્યારથી જ તૈયાર કરી રહ્યું છે.
રાજકોટમાંથી શરૂ થયેલી આ બેઠકોની શ્રેણી ભાજપની ભવિષ્યની રાજનીતિનો સંકેત આપી રહી છે. સ્થાનિક સ્વરાજ્યમાં મળેલા જનાદેશને આધાર બનાવીને પાર્ટીએ હવે વિધાનસભાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: અમરેલીમાં સિંહણનો નરભક્ષી હુમલો: વતન જવા નીકળેલા યુવકને ફાડી ખાધો
મૌલેશ ઉકાણી સાથે મહત્વની ચર્ચા
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી સાથે વિસ્તૃત મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં સામાજિક અને રાજકીય સમીકરણો, સમાજની અપેક્ષાઓ અને 2027ની રણનીતિ અંગે વિગતે ચર્ચા થઈ. ચૂંટણી પહેલાં જ કડવા પાટીદારોને સંતોષીને બેલેન્સ જાળવો એ ભાજપનો મુખ્ય ઉદ્દેશ છે.
લેઉઆ બાદ કડવા પાટીદાર પર ફોકસ
આ બેલેન્સિંગની રાજનીતિની શરૂઆત થોડા દિવસ પહેલાં જ થઈ ચૂકી છે. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લેઉઆ પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજી હતી. પહેલા લેઉઆના સર્વેસર્વા અને હવે કડવાના પ્રમુખ સાથે સિનિયર નેતાઓની મુલાકાત સ્પષ્ટ કરે છે કે ભાજપ પાટીદાર સમાજના બંને મોટા જૂથોને સાથે રાખવા માંગે છે.
2027નું સમીકરણ સેટ
ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર મતદારોની ભૂમિકા નિર્ણાયક રહી છે. 2017ની પાટીદાર આંદોલન બાદ ભાજપે આ સમાજને સાથે રાખવા સત પ્રયાસો કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ હવે પાર્ટી સમાજના ટોચના આગેવાનો સાથે સીધો સંવાદ કરીને 2027 માટેનો આધાર મજબૂત કરી રહી છે. જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની આ બેઠકોને આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ‘માસ્ટર પ્લાન’ તરીકે જોવામાં આવી રહી છે.
હવે આ બેઠકો બાદ ભાજપ પાટીદાર સમાજને કઈ રીતે રાજકીય રીતે રિપ્રેઝન્ટ કરે છે અને ટિકિટ ફાળવણીમાં બેલેન્સ કેવી રીતે જાળવે છે તેના પર સૌની નજર રહેશે.
