પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
-મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે મોદી સરકારે 90 દિવસ માટે પ્રતિબંધ લાદ્યો
-કોમર્શીયલ ગ્રાહકોને રીટેઈલ પંપ ઉપરથી ખરીદીની મંજુરી નહી
સરકારે દેશમાં ઇંધણના વેચાણ અને વિતરણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા જાહેરનામા મુજબ, રિટેલ આઉટલેટ્સ પરથી મોટર સ્પિરિટ (પેટ્રોલ) અને હાઇ-સ્પીડ ડીઝલ (HSD) ના વેચાણ પર નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, કોઈપણ વાહન કે ગ્રાહક એક જ દિવસમાં પેટ્રોલ પંપ પરથી 200 લિટરથી વધુ હાઇ-સ્પીડ ડીઝલ ખરીદી શકશે નહીં. વધુમાં, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને રિટેલ પેટ્રોલ પંપ પરથી સીધા જ ઇંધણ ખરીદવાની મનાઈ છે. આ વ્યવસ્થા શરૂઆતમાં આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે.
નવી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) મુજબ, કોમર્શિયલ ગ્રાહકોને હવે સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આ કોમર્શિયલ ગ્રાહકોએ પોતાની જરૂરિયાતનું પેટ્રોલ કે હાઈ-સ્પીડ ડીઝલ હવે પોતાના જ કન્ઝ્યુમર પંપ પરથી લેવાનું રહેશે.
આ પણ વાંચો: મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેટ્રોલ પંપ ડીલરોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈ પણ ગ્રાહક કે વાહનને એક દિવસમાં 200 લીટરથી વધુ હાઈ-સ્પીડ ડીઝલ વેચશે નહીં. સામાન્ય કારની ફ્યુઅલ ટેન્ક (ટાંકી)ની ક્ષમતા 200 લીટર કરતાં ઘણી ઓછી હોય છે, તેથી સામાન્ય કાર માલિકોના રોજિંદા જીવન પર આની કોઈ ખાસ અસર નહીં થાય. આની મુખ્ય અસર ભારે ટ્રકો અથવા જનરેટર માટે મોટા ડ્રમમાં ડીઝલ લઈ જતા લોકો પર પડશે. આ સાથે જ, ખરીદવામાં આવેલા આ હાઈ-સ્પીડ ડીઝલને કોઈ પણ સંજોગોમાં ફરીથી વેચવા (રીસેલ કરવા) પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
બળતણ (ઇંધણ)ના વેચાણ સાથે જોડાયેલી આ નવી વ્યવસ્થા હાલમાં શરૂઆતી તબક્કે 90 દિવસના સમયગાળા માટે નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે આગામી ત્રણ મહિના સુધી પેટ્રોલ પંપ પર બળતણનું વેચાણ આ જ કડક નિયમો હેઠળ થશે. જોકે, સરકારી જાહેરનામામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો સરકાર ઈચ્છે તો, નવો આદેશ જાહેર કરીને આ 90 દિવસની સમયસીમા પૂરી થાય તે પહેલાં પણ આ નિયંત્રણો પાછા ખેંચી શકે છે.
