મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
જો કે કોંગી નેતા વેણુગોપાલ રદિયો આપી ચૂક્યા છે
તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલ વચ્ચે હવે કોંગ્રેસમાંથી અલગ પડીને રચાયેલી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી (એસપી) ફરી કોંગ્રેસમાં વિલીન થઈ શકે તેવી ચર્ચાઓ ફરી એક વખત તેજ બની છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાના પટોલેએ દાવો કર્યો છે કે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એક મંચ પર લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને મમતા બેનરજી તથા શરદ પવાર કોંગ્રેસ સાથે વિલીનીકરણ માટે મન બનાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ માત્ર ગઠબંધનની નહીં પરંતુ સીધા વિલીનીકરણની પ્રક્રિયા હોઈ શકે છે.
પટોલેએ એવો પણ દાવો કર્યો કે એનસીપી (એસપી)ના કોંગ્રેસમાં વિલીનીકરણનો પ્રસ્તાવ અગાઉથી જ શરદ પવાર તરફથી આપવામાં આવ્યો હતો, જોકે કેટલાક કારણોસર તે આગળ વધી શક્યો નહોતો. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં બિન-ભાજપ મતના વિભાજનને રોકવા માટે તમામ ધર્મનિરપેક્ષ અને બહુવાદી વિચારધારાવાળા પક્ષોએ એક થવું જોઈએ તેવી લાગણી હવે મજબૂત બની રહી હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચો: એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
જોકે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે તૃણમૂલ કોંગ્રેસના વિલીનીકરણ અંગેની ચર્ચાઓને નિરાધાર અફવા ગણાવીને ફગાવી દીધી છે. તેમ છતાં છેલ્લા બે દિવસમાં મમતા બેનરજીની સોનિયા ગાંધી સાથે તથા અભિષેક બેનરજીની રાહુલ ગાંધી સાથે થયેલી બેઠકોને કારણે અટકળો વધુ વેગવંતી બની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં મજબૂત વિપક્ષી એકતા અને રાહુલ ગાંધીના નેતૃત્વ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિલીનીકરણનો કોઈ પ્રસ્તાવ હોય તો તેની પહેલ તૃણમૂલ કોંગ્રેસે જ કરવી પડશે.
આ નેતાઓએ કરી વિલીનીકરણની તરફેણ
► સંજય રાઉત (શિવસેના-યુબીટી) :
કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કોંગ્રેસમાંથી અલગ થયેલા નાના પક્ષોએ ફરી મૂળ પક્ષમાં પરત ફરવું જોઈએ. શરદ પવારે આ પ્રક્રિયાનું નેતૃત્વ કરવું જોઈએ.
► સુપ્રિયા સુલે (એનસીપી-એસપી) :
રાઉતના સૂચનને સારો પ્રસ્તાવ ગણાવ્યો. જોકે સ્પષ્ટ સમર્થન કે વિરોધ કર્યા વિના કહ્યું કે “પહેલા વરસાદ પડવા દો, પછી છત્રી લેવી કે રેઇનકોટ તે નક્કી કરાશે.”
► અશોક ગેહલોત (કોંગ્રેસ) :
કોંગ્રેસમાંથી અલગ થઈને બનેલા તમામ પ્રાદેશિક પક્ષોએ ફરી કોંગ્રેસમાં જોડાવું જોઈએ અને રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવું જોઈએ. તેનાથી દેશભરમાં સ્પષ્ટ રાજકીય સંદેશ જશે.
