રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી માતબર રકમની છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોય તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. 150 ફૂટ રિંગરોડ પર ઈસ્કોન મોલના ત્રીજા માળે સનરાઈઝ નામે કંપની ચલાવતાં યુવકનું બે શખસોએ 1.51 કરોડ રૂપિયાનું સ્ટીલ લેવર જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે પંચવટી મેઈન રોડ પર કસ્તુરી પ્રાઈડમાં રહેતા અને આર.પી.સ્ટીલ નામની કંપની ચલાવતા સંજયભાઈ વલ્લભભાઈ પાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે માર્ચ-2025માં તેમની ઓફિસે ઋષિકેશ પેંકજભાઈ મહેતા તેમજ કિશોર નામના શખસે ફોન કરી સ્ટીલની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. આ પછી બન્નેએ ઓફિસ પર આવી પોતે આર.પી.સ્ટીલ નામે પેઢી ધરાવતા હોવાનું અને તેમની ઓફિસ વાવડી રોડ પર શ્રીજી ગૌશાળાવાળી શેરીમાં આવેલી હોવાનું કહ્યું હતું.
ઋષિકેશ અને કિશોર સાથે સંજયભાઈએ સ્ટીલનો વેપાર આગળ વધારવાનું નક્કી કર્યું. શરૂઆતમાં 12.08 લાખ રૂપિયાનું સ્ટીલ મોકલતાં તેના પૈસા સમયસર ચૂકવ્યા હતા. આ પછી જે પણ ઓર્ડર આપે તેના પૈસા બે-ચાર દિવસમાં આપી દેતા હતા. વિશ્વાસ થઈ જતાં 3-4-2025થી 4-1-2026 સુધીમાં કુલ 3,74,31,353 રૂપિયાનો માલ બન્નેને આપ્યો હતો, જે પૈકી 2,23,21032 રૂપિયા ચૂકવી દીધા હતા, જ્યારે બાકીના 1.51 કરોડ રૂપિયા પરત ચૂકવ્યા નહોતાં. તેમને ફોન કરતાં પૈસા ઉપર સલવાઈ ગયા હોવાનો જવાબ મળ્યો.
આ પછી પણ વારંવાર બહાના કાઢી રહ્યા હતા. આખરે સંજયભાઈએ કિશોર અને ઋષિકેશની પેઢી તપાસ કરવા ગઇ ત્યારે ત્યાં ડેલો બંધ હતો અને અંદર સ્ટીલ પણ પડ્યું નહોતું. આ ઉપરાંત ઋષિકેશનું મકાન પણ બંધ હતું. આ બન્નેએ ગોંડલ, શાપર, અમદાવાદમાં પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી હોવાની માહિતી મળી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ કિશોર અને ઋષિકેશ સામે ગુનો નોંધ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી.
સોનામાં ઉંચો નફો બતાવી બિલ્ડર સાથે 39 લાખની છેતરપિંડી
રાજકોટના કોઠારિયા રોડ પર આદર્શ શિવાલય-21માં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા યુવકને ફેસબુક પર આરોહી અગ્રવાલ નામની યુવતીની રિકવેસ્ટ આવી. તેને એક્સેપ્ટ કરતાં કથિત આરોહી નામની યુવતીએ સોનામાં રોકાણ કરાવી ઉંચો નફો આપવાની લાલચ આપી, વેપારીએ સાત મહિનાની અંદર 39.22 લાખનું રોકાણ કર્યા. વધુ પૈસાની માંગણી થતાં વેપારીએ છેતરાયો હોવાનો અહેસાસ કર્યો અને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.
