રાજકોટની સયાજી હોટેલની બાજુમાં 45 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની પહેલી ફૂડ લેબોરેટરી બનશે: ખાણીપીણીમાં ભેળસેળ ઝડપથી પકડાઇ જશે
રાજકોટમાં દિવસેને દિવસે હોટેલ, રેસ્ટોરન્ટમાં વધારો થઈ રહ્યો છે સાથે સાથે દરેક વિસ્તારમાં ખાણીપીણીની રેંકડીઓ વધી રહી છે ત્યારે અનેક સ્થળે ભેળસેળયુક્ત ખોરાક ધાબડવામાં આવી રહ્યાનું ફૂડ શાખાના ચેકિંગ દરમિયાન સામે આવી ચૂક્યું છે. સાથે સાથે ખાણીપીણીના અન્ય ખોરાકમાં પણ ભેળસેળ થયાનું ખુલ્યું છે. આ પ્રકારની ભેળસેળને અટકાવવા તેમજ ભેળસેળ કરનારા લોકો સામે ઝડપથી કાર્યવાહી થઈ શકે તે માટે ફૂડ લેબોરેટરીની તાતી જરૂરિયાત હોવાથી 2 વર્ષ પહેલાં રાજકોટમાં ફૂડ લેબોરેટરી બનશે તેવી જાહેરાત કરાયા બાદ આખરે આ લેબોરેટરીનું મુહૂર્ત આવી ગયું છે.
મહાપાલિકા દ્વારા વોર્ડ નં. 10માં સયાજી હોટેલની બાજુમાં આવેલા પ્લોટમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રની સૌપ્રથમ ફૂડ લેબોરેટરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડરમાં જણાવ્યા પ્રમાણે ફૂડ લેબોરેટરી ઉપરાંત એક જ બિલ્ડિંગમાં આરોગ્ય કેન્દ્ર અને મેલેરિયા સેન્ટર પણ બનાવવામાં આવશે.
લેબોરેટરી માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ હવે 25 માર્ચ સુધીમાં રસ ધરાવનાર એજન્સી નક્કી થઈ જશે. જો કે હાલ મહાપાલિકામાં વહીવટદાર શાસન લાગુ હોવાથી ટેન્ડર મંજૂર કરવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્ન છે. આમ છતાં નવી બોડી ચૂંટાઈ ગયા બાદ દરખાસ્તને મંજૂરી મળ્યાના 18 મહિનામાં આ લેબોરેટરી તૈયાર કરી લેવામાં આવશે.
આ લેબ બની જવાથી મહાપાલિકાએ ખાણીપીણીના નમૂના ગાંધીનગર અને વડોદરા ખાતે મોકલવા પડશે નહીં. અત્યારે ફૂડનો નમૂનો 3 મહિને આવતો હોય ત્યાં સુધીમાં ઢગલાબંધ ફૂડ વેચાઈ જતું હોવાથી ભેળસેળ હોવા છતાં તેને અટકાવી શકાતું નથી.
જો કે રાજકોટમાં લેબ બની ગયા બાદ ફૂડના નમૂનાનું પરિણામ ઝડપથી આવી જવાને કારણે ભેળસેળ ઉપર અંકુશ લગાવી શકાશે સાથે સાથે ભેળસેળીયા તત્ત્વો ઉપર પણ ગાળિયો કસી શકાશે.
