ભારત મંડપમની બહાર વર્ષાને પગલે ચારેકોર પાણી ભરાયા
વિપક્ષનો સરકાર પર પ્રહાર, વિકાસ થોડાક વરસાદમાં તરતો દેખાયો
રાજધાની દિલ્હીમાં જી-20 સમિટ ચાલી રહી હતી . વિશ્વના તમામ મહેમાનો અને રાજનેતાઓનો જમાવડો ત્યાં લાગ્યો હતો . એવામાં દિલ્હી અને તેના કેટલાક આસપાસના વિસ્તારોમાં રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે જી-20 સમિટ સ્થળ એટલે કે પ્રગતિ મેદાનના ભારત મંડપમની બહાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
જોકે, જી-20 સમિટ વચ્ચે આ રીતની પરિસ્થિતિ સર્જાવીએ કોઈ સામાન્ય વાત નથી. આ મામલે વિરોધ પક્ષે સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક કોંગ્રેસી નેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સરકારની પોલ ઉઘાડી પડી ગઈ છે. સરકારે પ્રગતિ મેદાનના ભારત મંડપમને બનવા પાછળ કરોડોનો ખર્ચો કર્યો હતો. પરંતુ દિલ્હીમાં પડેલા એક વરસાદથી ત્યાં જળબંબાકારની સ્થિતિ હતી.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ પણ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો શેર કર્યો હતો. તેમણે સરકારને ઘેરતા લખ્યું હતુ કે, આજે, 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારત મંડપમમાં વિકાસ સહેજ વરસાદમાં પણ તરતો જોવા મળે છે. હું ભગવાનને પ્રાર્થના કરીશે કે વધુ વરસાદ ન પડે અને જી20 કોન્ફરન્સ સલામત રીતે પૂર્ણ થઇ જાય. મોદી સરકારે ગરીબોને ‘પડદા’થી ઢાંકી દીધા છે, પરંતુ દેખાદેખી વચ્ચે તે તેની કરતુતને છુપાવી ન શકી.
