રેલવેએ ડિમોલિશનની ધાર સજાવી: રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે બુલડોઝરની ધણધણાટી, મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
રાજકોટ મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરના સૌથી સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી 1509 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ પછી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પણ અલગ-અલગ વિસ્તારમાં બૂલડોઝરની ધણધણાટી બોલાવ્યા બાદ હવે રેલવે તંત્રએ પણ પોતાની હસ્તકની જમીનને દબાણમુક્ત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. વાહનોની સૌથી વધુ અવર-જવર જ્યાં રહે છે તે લક્ષ્મીનગરના નાલા પાસે મહાપાલિકાની કરોડો રૂપિયાની કિંમતની અંદાજે 10000 વાર જગ્યા આવેલી છે જ્યાં વર્ષોથી ઝુપડા બંધાઈ ગયા હોય, આજે સોમવારે સવારથી આ ઝુપડાઓ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે વધુમાં જાણવા મળ્યું છે કે 10000 વાર જગ્યામાં વર્ષોથી 354 કાચા-પાકા ઝુપડા ખડકાયેલા છે જેમાં 1000થી વધુ લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોય. આ તમામને જગ્યા ખાલી કરવા વારંવાર કહેવામાં આવ્યા છતાં જગ્યા ખાલી કરતા ન હોય, આખરે આજે સવારથી દબાણો તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
બીજી બાજુ, તંત્ર હવે ઝુપડા દૂર કરશે જ તેવું પામી જતાં અનેક ઝુપડાધારકોએ રવિવારથી જ સ્વયંભુ દબાણ છોડી દીધું અથવા તોડી નાખ્યું હતું. ડિમોલિશન દરમિયાન કોઈ પ્રકારનો કાંકરીચાળો કે અનિચ્છનીય બનાવ ન થાય તે માટે સવારે 6:30 વાગ્યાથી જ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :ભાજપ નેતાનો ધ્રુજારો: આ તો હાઇ કમાન્ડે સહન’ કરી લેવા કહ્યું છે બાકી હરિફો વિરુદ્ધ મસાલો’ મેં પણ તૈયાર કર્યો છે, સમયની જ રાહ જોઉં છું !
મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
સમગ્ર ઓપરેશન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લા જેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેથી કોઈપણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં. આ તકે વિરોધના છૂટાછવાયા અવાજો ઉઠ્યા હતા, પરંતુ પોલીસના ચુસ્ત પહેરા સામે દબાણકર્તાઓનું કંઈ ચાલ્યું ન હતું. લોકોએ જાતે તેમનો સામાન કાઢી અન્ય સ્થળે ફેરવવાની પ્રક્રિયા કચવાતા મને કરી હતી. અને નાછૂટકે ડિમોલિશન કરવા માટે સહકાર આપ્યો હતો.
