રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
શહેરના કે.કે.વી. હોલ બ્રિજ નીચે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વાત કર્યા બાદ મોબાઈલ ફોન પરત ન આપવા જેવી સામાન્ય બાબતમાં 27 વર્ષીય નેપાળી શ્રમિક યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. માલવીયાનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
આ અંગેની વિગતો મુજબ, મૂળ નેપાળી અને હાલ ભગતસિંહ ગાર્ડન પાસે રહેતા સાહિલ વિશ્વકર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો મોટો ભાઈ રાહુલ પ્રેમસિંગ વિશ્વકર્મા (ઉ.વ. 27 ) જે હોટલમાં મજૂરી કામ કરતો હતો ગત તા. 4 માર્ચના રોજ રાત્રે સાડા દસ વાગ્યે “કામ પર જાઉં છું” તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. ૫ માર્ચના વહેલી સવારે પોલીસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી કે, રાહુલ લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ છે.
બનાવની જાણ થતાં પરિવાર હોસ્પિટલે દોડી જતાં જાણવા મળ્યું હતું કે,રાહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે બેભાન અવસ્થામાં છે. જોકે વહેલી સવારે સારવાર કારગત ન નીવડતા રાહુલે દમ તોડી દીધો હતો.ઘટનાની ગંભીરતાને જોતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઈ. જે.આર. દેસાઈ અને પી.એસ.આઈ. કે.ડી. મારુ સહિતના કાફલાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોળા ગામનો વતની અક્ષયરાજસિંહ જાડેજા (ઉ.વ. 23) ને દબોચી લીધો હતો.
આ પણ વાંચો :ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, કે.કે.વી.બ્રિજ નીચે રાહુલ અને તેની વચ્ચે મોબાઈલ ફોન બાબતે બોલાચાલી થઈ હતી. રાહુલે વાત કરવા માટે અક્ષયરાજસિંહનો મોબાઈલ માંગ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ફોન પરત આપવા આનાકાની કરતો હોવાથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ આવેશમાં આવીને અક્ષયરાજસિંહે પથ્થરના ઘા ઝીંકી રાહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.વધુમાં મૃતક રાહુલના પિતા છેલ્લા 10 વર્ષથી અલગ રહેતા હોવાથી ઘરની જવાબદારી તેના પર અને તેની માતા પર હતી. રાહુલના અકાળે અવસાનથી નેપાળી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
