હોળીની જાળ પરથી આવ્યો વર્ષ 2026નો વરતારો: ભારે વરસાદ અને આર્થિક મંદીના સંકેત, દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે
વંથલી પંથકના જાણીતા આગાહીકાર રમણીક વામજાએ હોળીની જાળ અને અખાત્રીજના પવનના પરંપરાગત વિશ્લેષણના આધારે વર્ષ 2026 માટેનો વરતારો જાહેર કર્યો છે. આ આગાહી મુજબ આગામી વર્ષ કુદરતી હોનારતો અને આર્થિક ઉતાર-ચઢાવથી ભરેલું રહેવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર માટે આ વરતારો સાવચેતીના સંકેત આપી રહ્યો છે. હોળીની જ્વાળાઓ અને વાયુના વેગ પરથી આ વર્ષે અતિવૃષ્ટિના યોગ દેખાઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે.
કુદરતી આફતોના વરતારા મુજબ, આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં વેરાવળ અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકી શકે છે. અખાત્રીજના પવનો સૂચવે છે કે ઉનાળામાં અસહ્ય ગરમીનો પ્રકોપ રહેશે, જ્યારે ચોમાસા દરમિયાન દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે. ખેતી માટે આ વર્ષ ‘મિશ્રિત ફળદાયી’ રહેવાનું અનુમાન છે, કારણ કે ભાદરવા માસમાં હાથિયા નક્ષત્રનો વરસાદ તૈયાર પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ પણ આ વર્ષ પડકારજનક રહેવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં આવનારા ગ્રહણોને કારણે વેપાર-ધંધામાં ભારે મંદીનો માહોલ જોવા મળી શકે છે. રાજકીય ક્ષેત્રે દેશમાં કોઈ મોટી અને પ્રભાવશાળી વ્યક્તિના અવસાનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે સરહદો પર તણાવ વધશે અને યુદ્ધના ભણકારા વાગવાની શક્યતા છે. આ પરંપરાગત આગાહીઓ ગ્રામીણ જનતામાં ભારે ચર્ચાનો વિષય બની છે, જે લોકોના આગામી આયોજનો પર મોટી અસર પાડી શકે છે.
