ગજબ સંયોગ: ભારત-ઈંગ્લેન્ડની ટક્કરમાં સેમિફાઈનલ જે જીત્યું તે જ બન્યું ચેમ્પિયન,સળંગ ત્રીજી વખત વર્લ્ડકપનો સેમિફાઈનલ મુકાબલો થશે
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે ટી-20 વર્લ્ડકપનો બીજો સેમિફાઈનલ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ઉપર રમાવાનો છે. જો કે જાણીને આશ્ચર્ય થશે કે ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત-ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં સળંગ ત્રીજી વખત ટક્કર થવાની છે. સેમિફાઈનલમાં જે ટીમ જીતી છે તે જ વર્લ્ડકપ પણ જીતી હોવાનો સંયોગ રચાયો છે ત્યારે આ વખતે પણ એવું બની શકે કે ભારત અથવા ઈંગ્લેન્ડ બન્નેમાંથી જે જીતે તે ફાઈનલ જીતવાની દાવેદાર ગણાશે!
ટી-20 વર્લ્ડકપના સેમિફાઈનલમાં બે વખત થયેલી ટક્કરમાં એક વખત ઈંગ્લેન્ડે 2022માં ભારતને હરાવ્યું હતું. જ્યારે 2024માં ભારતે બદલો લઈ ઈંગ્લેન્ડને સેમિફાઈનલમાં હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં પાછલી બે વખતની ટૂર્નામેન્ટમાં ભારત-ઈંગ્લેન્ડમાંથી જેને જીત મળી છે તેણે આગળ જઈને ફાઈનલમાં જીત મેળવી છે. 2024માં ભારતે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું ત્યારે એ વર્લ્ડકપ ભારત જીત્યું હતું. જ્યારે 2022માં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું એ ટૂર્નામેન્ટ ઈંગ્લેન્ડે પોતાના નામે કરી હતી.
આમ તો ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં લીગ રાઉન્ડ કે સુપર-8માં 14 વર્ષથી મેચ રમાઈ નથી. છેલ્લે 2012માં બન્ને વચ્ચે નોકઆઉટ સ્ટેજ પહેલાં મેચ રમાઈ હતી. એ મેચમાં ભારત જીત્યું હતું. ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં બન્ને વચ્ચે પાંચ વખત ટક્કર થઈ છે જેમાં ત્રણ વખત ભારતે તો બે વખત ઈંગ્લેન્ડે બાજી મારી છે.
