સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ ‘એકશન મોડ’માં: પ્રભારીઓ જાહેર, કચ્છના અનિરૂદ્ધ દવેને સોંપાઈ રાજકોટ શહેરની જવાબદારી
આગામી મહિનાઓમાં રાજકોટ મહાપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે જેને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ શહેર-જિલ્લાના પ્રભારીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા પ્રભારીઓ ટૂંક સમયમાં જ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બની જશે.
રાજકોટ શહેરના પ્રભારી તરીકે કચ્છના અનિરૂદ્ધ દવે, જિલ્લાના પ્રભારી તરીકે પાટણના ભરતભાઈ આર્યની પસંદગી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને જૂનાગઢ જિલ્લો, ધનસુખભાઈ ભંડેરીને જામનગર શહેર, કશ્યપ શુક્લને અમદાવાદ જિલ્લો અને કમલેશ મીરાણીને ભાવનગર શહેરની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ઉપરાંત ડાંગ, વલસાડ, સુરત શહેર-જિલ્લો, વડોદરા શહેર-જિલ્લો, અમદાવાદ શહેર-જિલ્લા સહિતના તમામ શહેર-જિલ્લાના પ્રભારીઓની યાદી પણ જાહેર કરવામાં આવી હતી.
વિવિધ મોરચાના પ્રભારી પણ જાહેર
પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની પસંદગી પણ કરવામાં આવી હતી જેમાં યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલ (જૂનાગઢ જિલ્લો), મહિલા મોરચાના પ્રભારી તરીકે શબ્દશરણ બ્રહ્મભટ્ટ (વડોદરા), ઓબીસી મોરચાના પ્રભારી તરીકે નટુજી ઠાકોર (પાટણ), એસ.સી.મોરચાના પ્રભારી તરીકે હિતેશ પટેલ (સાબરકાંઠા), એસ.ટી.મોરચાના પ્રભારી તરીકે ગીતાબેન રાઠવા (છોટાઉદેપુર), કિસાન મોરચાના પ્રભારી તરીકે ભરત પંડયા (અમદાવાદ જિલ્લો) અને લઘુમતિ મોરચાના પ્રભારી તરીકે રસિક પ્રજાપતિ (વડોદરા જિલ્લા)ને જવાબદારી સોંપાઈ હતી.
