રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
રાજકોટમાં હજુ ઉનાળાનો આજકાલનો તડકો પડવાનું શરૂ થયું નથી ત્યાં જ મહાપાલિકાએ પાણીકાપ ઝીંકવાનું શરૂ કરી દેતાં લોકોમાં દેકારો બોલી ગયો છે. જો કે ઉનાળા પહેલાં પાણી સંગ્રહિત કરતા તમામ સ્ત્રોતની સફાઈ કરવામાં આવી રહી હોવાને કારણે આ કાપ મૂકવામાં આવી રહ્યો હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવતીકાલે રવિવારે કરી 129 સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં કેમ કે પાણીના ટાંકાની સફાઈ કરવાની છે !
મહાપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા જી.એસ.આર. (પાણીના વિશાળ ટાંકા)ની સફાઈ કરવામાં આવનાર હોવાથી ઈસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં. 4 (પાર્ટ), વોર્ડ નં. 5 (પાર્ટ), વોર્ડ નં. 6 (પાર્ટ) અને વોર્ડ નં. 15 (પાર્ટ) કે જ્યાં આજ-30 માંથી પાણી વિતરણ કરવામાં આવે છે તે તેમજ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 8 (પાર્ટ), 11 (પાર્ટ) અને 13 (પાર્ટ) કે જે ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તારો છે ત્યાં તા. 1-3-2026 ને રવિવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.
જ્યાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે તેમાં અલગ-અલગ 122 સોસાયટી ઉપરાંત વિસ્તારો સમાવિષ્ટ છે. સોસાયટીની વાત કરવામાં આવે તો વોર્ડ નં. 4 માં સિદ્ધિ સિદ્ધિ, ગાંધી સ્મૃતિ, મહાકાળી, શિવમ, ગાંધી, બોરીયા સહિતની સોસાયટી ઉપરાંત નંદનગર, ગંગેશ્વર મહાદેવ મેઈન રોડ, નંદનવન સહિતના વિસ્તારો સમાવિષ્ટ છે. આ ઉપરાંત વોર્ડ નં. 5 માં પ્રધ્યુમનનગર, બ્રાહ્મણીયાપરા, કેયુર પાર્ક, મોતીબાગ, નકુમબાગ સહિતના વિસ્તારો, વોર્ડ નં. 6 માં રણછોડ નગર, ચંપકનગર, શાંતિ પ્લોટ, ગઠિયાનગર, વોર્ડ નં. 15 માં માધાણીનગર, ભરતનગર, ખોડિયારપરા, અવધ પાર્ક, વોર્ડ નં. 8 માં લક્ષ્મીનગર, નંદ કિશોર સોસાયટી, રાધાનગર, વોર્ડ નં. 11 માં માધાણીનગર આવાસ યોજના, વિષ્ણુનગર આવાસ યોજના, વિરલ સોસાયટી, માધવીનગર-પાર્ટ અને વોર્ડ નં. 13 માં અડકા સોસાયટી, ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર સહિતના કુલ 129 વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી મળશે નહીં.
