ALL THE BEST: આજથી ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી સ્વાગત, 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ જિલ્લામાંથી ધોરણ 10 અને ધોરણ 12 ના 80248 વિદ્યાર્થીઓ તેમની આખા વર્ષની મહેનતનો નિચોડ રજૂ કરશે. અગાઉની જેમ રાજકોટ જિલ્લા અને શહેરના પરીક્ષા કેન્દ્રો પર શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થીઓને પરંપરાગત રીતે કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ તા. 26 થી 18 માર્ચ સુધી કસોટી રહેશે.

આજે પ્રથમ દિવસે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયનું પેપર સવારે 10:00 વાગ્યાથી 1:15 સુધી ચાલશે. રાજકોટમાં ધોરણ 10 માટે 40 કેન્દ્રો અને 182 બિલ્ડિંગમાં 1565 બ્લોકમાં 46657 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ પેપર અર્થશાસ્ત્રનું છે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે.

રાજકોટમાં કુલ 65 કેન્દ્રો પર ધોરણ 10-12 ની પરીક્ષા
રાજકોટમાં કુલ 65 કેન્દ્રો અને 322 બિલ્ડિંગમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાશે. ન્યુ એરા સ્કૂલ ખાતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, નાના મોવા રોડ પર આવેલી મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ખાતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, વિરાણી હાઈસ્કૂલ ખાતે પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને બારદાનવાલા સ્કૂલમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા.

15,27,000 થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ભાગ લેશે
આ વર્ષે રાજ્યભરમાં કુલ 15,27,000 થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ભાગ લેશે. જેમાં ધોરણ 10 માટે 9,07,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,10,286 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

વિજ્ઞાન પ્રવાહ માટે 156 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે
પરીક્ષા આયોજન માટે બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં વિશાળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ધોરણ 10 માટે કુલ 87 ઝોન અને 1006 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 12 માટે કુલ 59 ઝોન અને 695 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં સામાન્ય પ્રવાહ માટે 539 અને વિજ્ઞાન પ્રવાહ માટે 156 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.

ગાંધીનગર ખાતે 24 કલાક કાર્યરત સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત
પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા અને કોઈપણ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો 24 કલાક કાર્યરત સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સતત મોનિટરિંગ કરશે.

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા તેમજ પારદર્શિતા જળવાઈ રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું બોર્ડ દ્વારા જણાવાયું છે.
