રાજકોટ શહેરમાં સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વવરને હાલ તો કાનૂની કારણે બે્રક આવી ગઈ છે. ત્રણ માસ જેવી રાહત હાઈકોર્ટ તરફથી મળી છે. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (જીઆરડી)ને અપીલનો નિર્ણય કરવા કહેવાયું છે. 1350 દબાણકારો (અસરગ્રસ્તો)ને અત્યારે તો થોડા સમયની શાંતિ થઈ છે. આ બધા વચ્ચે અસરગ્રસ્તોમાં એવો ઉકળાટ પણ છે કે મત તો અમે પણ આપ્યા હતા પરંતુ અમારા તરફ કોઈ ન દેખાયા. તાજેતરમાં પેડક રોડ પર ચાંદી કામના ધંધાર્થીને ત્યાં મકાનમાંથી 1.62 કરોડના ચાંદીના ઘરેણા ભરેલી બોરીઓની ચોરી થઈ તેમાં વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડ તુરંત જ પોતાના મત વિસ્તારના વેપારીને ત્યાં પહોંચી ગયા હતા. આ વાતને લઈને ડિમોલિશનગ્રસ્ત વિસ્તારના મતદારો કે રહેવાસીઓમાં એવો ચણભણાટ કે આંતરિક કાનાફૂસી ચાલી છે કે આપણા ધારાસભ્ય ઉદયભાઈ આટલા એક્ટિવ છે એ સારી બાબત છે. ચાંદીના વેપારીને ત્યાં ચોરી થઈ અને તુરંત જ પહોંચી ગયા, સારી વાર ત્યાં જ ખુરશી ઢાળીને બેઠા. આવી જ રીતે જ્યારે જ્યારે વેપારીઓ કે સામાકાંઠાના મતદારોને કાંઈને કાંઈ કામ પડે તો ઉદયભાઈ ત્યાં ખડેપગે રહે છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે અત્યારે કલેક્ટર તંત્ર હસ્તગતની જમીન પર ઉભેલા 1350 મકાનો, મિલકતો અને વસવાટ કરતાં 20,000 જેવા લોકો પણ વિધાનસભા-68ના જ મતદારો છે. વિસ્તારવાસીઓ પૈકી કેટલાક અંદરો અંદર એવો વલોપાત વ્યકત કરે છે કે કદાચ એવું હોય કે જંગલેશ્વરમાંથી મત નહીં મળ્યા હોય પણ ખાલી જંગલેશ્વવર જ ડિમોલિશનમાં નથી રાધાકૃષ્ણ સોસાયટી, અન્ય વસાહતો કે જ્યાં હિન્દુઓ અને ભાજપ મતદારો કે વોટ બેન્ક છે તે વિસ્તારો પણ ડિમોલિશનમાં છે. કોર્પોરેશનમાં પણ બેઠક ભાજપની જ છે. કાયદાકીય પ્રક્રયા આ મુજબ કામ કરે કે કરશે પણ જે રીતે સામાકાંઠાનું વધુ ધ્યાન છે તેમ મત તો અમે પણ આપ્યા જ હતા તો દિલાસો કે હિંમત આપવા તો આવ્યા હોત તો પણ એમ થાત કે આર્થિક નાના મતદારોના ખભે હાથ તો મુક્યો, આવી ખરી-ખોટી કાનાફૂસી વિસ્તારમાં ચાલે છે.
પગાર-પ્લેટફોર્મ બન્ને `વ્યવસ્થિત’ મળતાં મહત્ત્વની બ્રાન્ચના પોલીસ જવાને આપ્યું રાજીનામું !!
શું તમારે પોલીસ વિભાગમાં ભરતી થવું છે ? આ પ્રશ્ન દસ યુવક અથવા યુવતીને પૂછવામાં આવે તો આઠ લોકો હા'માં જ જવાબ આપશે... કારણ કે ખાખીની ખુમારી જ કંઈક ઔર હોય છે. એકંદરે અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવી જટિલ કાર્યવાહી પૂર્ણ થવામાં દોઢ વર્ષ વીતી જાય છે અને આટલા સમય સુધી પરીક્ષા આપનારને દિવસ-રાત પાસ થઈશ કે કેમ તેના જ વિચાર સતાવ્યે રાખતા હોય છે. જો કે તાજેતરમાં જ એક એવો કિસ્સો ધ્યાન પર આવ્યો છે જ્યાં રાજકોટમાં જામનગર રોડ પર કાર્યરત મહત્ત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતાં એક જવાને નોકરીમાંથી મુક્ત થવા રાજીનામું ધરી દીધું હતું. રાજીનામાનો પત્ર જોઈ અધિકારી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કેમ કે તેઓ બરાબરના જાણતા હતા કે આ નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. અધિકારી દ્વારા જવાનને રાજીનામું આપવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે સાહેબ, મેં એમબીએ સુધીનો અભ્યાસ કરેલો હોવાથી મને પોલીસ કરતા સારો પગાર અને પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મળી હોવાથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. હાલ તો આ રાજીનામાનો પત્ર વ્યવહાર ચાલી રહ્યો હોય જવાનનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નથી પરંતુ તેણે તો પોલીસ વિભાગમાંથીવિદાય’ લેવાનું મન બનાવી લીધું હોય તેવું ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું !
વોર્ડ નં.16 ફરી કબજે કરવા ભાજપે ખૂબ જ `કસરત’ કરવી પડશે, પગે પાણી ઉતરશે
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે દોઢથી બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો જીત મેળવવા માટે સોગઠાં ગોઠવવામાં વ્યસ્ત બની ગયા છે. 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 72 બેઠકમાંથી 68 બેઠક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ 68 બેઠકમાં ચાર બેઠક વોર્ડ નં.16માંથી પણ મળી હતી. જો કે આ વખતની ચૂંટણીમાં વોર્ડ નં.16ની હવા અને લોકોનો મિજાજ કંઈક ઔર જ જોવા મળી રહ્યો છે. આ પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો તે જંગલેશ્વરમાં ડિમોલિશનની નોટિસ ફટકારવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘણા દિવસો સુધી લોકો ઉચાટ જીવે રહ્યા બાદ આખરે હાઈકોર્ટમાંથી ત્રણ મહિનાનો સ્ટે મળી ગયો છે. આ સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થશે ત્યાં સુધીમાં કદાચ મતદાન પણ થઈ ગયું હશે પરંતુ આ વખતે ઈવીએમમાં બટન દબાવતાં પહેલાં લોકો ડિમોલિશનની નોટિસને અવશ્ય યાદ કરશે તેવી `કાનાફૂસી’ ખુદ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારોના લોકોમાં સાંભળવા મળી રહી છે. આ વખતે વોર્ડ નં.16 ફરીથી કબજે કરવા માટે ભાજપે ખૂબ જ કસરત કરવી પડશે સાથે સાથે પરસેવો પાડવો પડશે તે વાત નિશ્ચિત બની ગઈ છે. વર્તમાન કોર્પોરેટરોને બદલે તાકાતવર કે જેઓ સામી લહેરે તરીને પક્ષને જીત અપાવી શકે તેવા મજબૂત ઉમેદવાર શોધવાની જફા પણ ઉઠાવવાની રહેશે. સામે કોંગે્રસ અને આમ આદમી પાર્ટી પણ લોકરોષનો ફાયદો ઉઠાવવા માટે અત્યારથી જ પ્લાનિંગમાં વ્યસ્ત બની ગયા છે. આખરે તો પરિણામો જ કહેશે કે ભાજપ તરફે રોષ નીકળ્યો કે પ્રેમ. જો જીતા વો સિંકંદર જેવું જ થશે.
શું વાત કરો છો ? દસ હજારની ચા પીવાઇ ગઇ ! બિલ જોઇ નેતાનું તો મોઢું કડવું થઇ ગયું…
મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી કે જ્યાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષકના દંડ ઉપરાંત અલગ-અલગ સમિતિઓના ચેરમેન સહિતના પદાધિકારીઓની ઓફિસ આવેલી હોવાથી તેમને ત્યાં અરજદારો, મહેમાનો, કાર્યકરો, ટેકેદારો આખો દિવસ અવર-જવર કરતા હોવાથી નક્કી કરાયેલા ચાવાળા હાથમાં થર્મોસ લઈને રાઉન્ડ ધ ક્લોક દોડતાં જોવા મળે છે. જો કે હમણાં જ એવું થયું કે એક નેતા પાસે તેમની ઓફિસ બહાર જ ફરજ બજાવતો કર્મચારી કાગળની એક ચિઠ્ઠી લઈને આવ્યો અને નેતાના હાથમાં આપી હતી. આ સમયે નેતાની સામે એક અરજદાર બેઠા હોય નેતાએ એ ચિઠ્ઠી સાઈડમાં મુકી દીધી હતી. જેવા અરજદાર રવાના થયા કે તુરંત જ નેતાએ ચિઠ્ઠી હાથમાં લઈને ચેક કરતાં જ તેમની આંખો પહોળી થઈ ગઈ હતી કેમ કે તેમના હાથમાં જે ચિઠ્ઠી હતી તે ચાના બિલની હતી અને તે બિલ 500 કે 1000 રૂપિયાનું નહીં બલ્કે દસ હજાર રૂપિયાનું હતું ! આ જોઈ નેતાએ તરત જ ચિઠ્ઠી આપી જનાર કર્મચારીને બોલાવીને પૂછયું હતું કે આ શું છે ? અહીં દસ હજાર રૂપિયાની ચા પીવાઈ ગઈ ? જો કે કર્મચારીએ શાંતચિતે નેતાને જવાબ આપ્યો હતો કે સાહેબ, તમારી એકની નહીં પરંતુ અન્ય પદાધિકારીની ઓફિસમાં પણ ચા જતી હોય બન્નેનું મળી આ બિલ મુકવામાં આવ્યું છે.
વોર્ડમાં પક્ષની સ્થિતિ'ને ધ્યાનમાં રાખી યોજના જાહેર થઇ શકેઃ જો આમ થાય તો અનેક વિસ્તારોને લાગશેલોટરી’
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે દેશનું બજેટ રજૂ કરવામાં આવે છે. જ્યારે જ્યારે આ બજેટ જાહેર થાય ત્યાં જે-તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તે રાજ્ય માટે બમ્પર યોજનાઓ, ફાળવણી સહિતની જાહેરાત કરવામાં આવે છે. હવે આવું જ કંઈક રાજકોટ મહાપાલિકાના 2026-27ના બજેટમાં પણ જોવા મળી શકે છે. દોઢ બે મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે ત્યારે શાસકો અત્યારે મ્યુ.કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટને કલરફુલ બનાવવામાં વ્યસ્ત બની ગયા છે. મહાપાલિકાની લોબી'માં થઈ રહેલીકાનાફૂસી’ પ્રમાણે શાસકો દ્વારા વોર્ડવાઈઝ સ્થિતિનું આકલન કર્યા બાદ યોજનાનો સમાવેશ બજેટમાં કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ વોર્ડમાં ભાજપની સ્થિતિ ખરાબ જણાશે તેવું લાગતાં જ તે વોર્ડના લોકોને તુરંત જ સ્પર્શી જાય તેવી યોજના જાહેર કરવામાં આવી શકે છે. જો આમ થાય તો અનેક વોર્ડને `લોટરી’ લાગી શકે તેમ છે.
