`હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’- આદિવાસી વિસ્તારો માટે મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો
કરાવ્યો શુભારંભઃ બે લાખ જેટલાં હરિભક્તો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી સર્જાયો અલૌકિક માહોલ
વડોદરા ખાતે મહંત સ્વામી મહારાજની 92માં જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવથી કરવામાં આવી હતી. મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતી વિશિષ્ટ વિડિયોની સાથે બી. એ. પી. એસ. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં પ્રેરક ઉદ્બોધનો કરવામાં આવ્યા હતા. આ અવસરે અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારી દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બહુમાન – કફલિયતિં જશળીહફિંક્ષયજ્ઞીત ઇંશક્ષમી ઝયડ્ઢિં છયભશફિંહ – `હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન’ બદલ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ સંસ્થાના 3 વર્ષથી 13 વર્ષની વય સુધીના 15,000 કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય, તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે.
આ અવસરે અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મહંત સ્વામી મહારાજના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.
મહંતસ્વામી મહારાજે પણ સૌને ઉન્નત આધ્યાત્મિક જીવનની પ્રેરણા આપતાં આશીર્વચન દ્વારા કૃતાર્થ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને અંતે લાખો દીવડાઓ દ્વારા સમૂહઆરતી સમયે હૃદયંગમ વાતાવરણ સર્જાયું હતું. આ જન્મજયંતી સમારોહમાં બી.એ.પી.એસ.ના 800 સંતો તેમજ અંદાજે બે લાખ જેટલા ભક્તો-ભાવિકો સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમય સુધી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી હતી, જેમાં બી.એ.પી.એસ.ના સેંકડો સંતો તથા 34 સેવાવિભાગોના 14,000 સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી.
