SIRમાં ગોટાળો! ફોર્મ નંબર-7 રજૂ કરનારા અરજદારોની તપાસ કરો: રાજસ્થાનના પ્રભારી-પૂર્વ MLA ઋત્વિક મકવાણાએ લગાવ્યા આક્ષેપ
ગુજરાતમાં ચાલી રહેલી SIRની કામગીરીમાં મોટાપાયે ગોટાળા ચાલી રહ્યા છે તેવો આક્ષેપ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી અને રાજસ્થાનના પ્રભારી તથા પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ ફોર્મ નંબર-7 રજૂ કરનારા અરજદારની તપાસ કરવાની માંગણી કરી છે. એક ખાસ મુલાકાતમાં ઋત્વિકભાઈ મકવાણાએ કહ્યું હતું કે, સરકારી તંત્ર આવા અરજદારની તપાસ કરવાને બદલે તે જેનુ ફોર્મ રદકરવા માગે છે તેને બોલાવીને પુરાવા માંગવામાં આવે છે. થાનગઢમાં રહેતા હાસ્ય કલાકાર શાહબુદ્દીનભાઈ રાઠોડ તેનો સચોટ પુરાવો છે.
ઋત્વિકભાઈ મકવાણા આજે પ્રદેશ કોંગ્રેસ ના ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે ડો. મહેશ રાજપૂત તથા કો-ઓર્ડીનેટર જીવણભાઈ કુંભારવાડિયા તથા પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ વગેરે સાથે વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને SIRની કામગીરીમાં ચાલતા ષડ્યંત્ર અંગે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યુ હતું કે, થાનગઢમાં પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ રદ કરવા માટે કોઈ હિતેશ રાઠોડ કરીને અરજદારે ફોર્મ નંબર-7 રજૂ કર્યું છે. આ ફોર્મના આધારે સરકારી તંત્ર હવે શાહબુદ્દીનભાઈ રાઠોડ પાસે જુદા જુદા પુરાવા માગે છે. ખરેખર તો હિતેશ રાઠોડ કોણ છે અને તે શા માટે શાહબુદ્દીનભાઈનું ફોર્મ રદ કરાવવા માંગે છે તેના તેની પાસે પુરાવા માગવા જોઈએ. આવું જ બીજા પદ્મશ્રી હાજી રમકડુના કિસ્સામાં પણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આવા ખોટા ફોર્મ રજુ કરનાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરવો જોઈએ અને જો એ વ્યક્તિ સાચી હોય તો જે તે બી.એલ.ઓ. સામે પગલા લેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈ મતદાર યાદીમાં થોડા ઘણા નામનો ફેર હોય એ સમજી શકાય પણ ગુજરાતમાં 12.59 લાખ આવા ફોર્મ ભરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :અજીત પવારના મૃત્યુ બાદ હવે પત્ની બની શકે છે નાયબ મુખ્યમંત્રી: સુનેત્રા પવારને મળ્યા છગન ભૂજબળ અને પ્રફુલ પટેલ
તો તંત્ર આવા કોના નામ કમી કરવા માગે છે તેની પણ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ આ મુદ્દે જનઆંદોલન પણ કરશે અને લોકો સાચી વાતથી વાકેફ થાય તે માટે ઝુંબેશ પણ કરશે. ,પ્રજા ભાજપના આ પ્રકારના ગતકડાં જાણી ગઈ છે અને તે ફરીથી કોંગ્રેસ તરફ વળી રહ્યા છે તેવો દાવો કરતા ઋત્વિકભાઈએ કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રજામાં ફરી વિશ્વાસ ઉભો થાય તેવું વાતાવરણ ઉભુ કરી રહી છે અને તેમાં સફળ પણ થશે.
દરમિયાન પ્રદેશ ઓ.બી.સી.ડીપાર્ટમેન્ટના ચેરમેન તરીકે તાજેતરમાં જ જેની વરણી થઇ છે તે ડો. મહેશ રાજપૂતે કહ્યું હતું કે, રાજ્યમાં દરેક જિલ્લામાં ઓ.બી.સી.વર્ગ મોટી સંખ્યામાં છે અને કોંગે્રસે તેમના ઉત્કર્ષ માટે ચોક્કસ કાર્યકમો ઘડ્યા છે. અમે નવી ટીમ સાથે અને જુના આગેવાનોને સાથે રાખીને તેમના લાભાર્થે કાર્યક્રમો આપશું. તેમણે આ નિમણુંક બદલ પ્રદેશના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓનો પણ આભાર માન્યો હતો. દરમિયાન ડો. મહેશ રાજપૂતની હોદ્દાની રૂએ પ્રદેશની ચૂંટણી સમિતિમાં પણ આમંત્રિત સભ્ય તરીકે નિમણુક થઇ છે.
