રાજકોટના આજી રિવર ફ્રન્ટ માટે 400 કરોડની જમીન ખાલી કરાવવા બીજી વખત દબાણકારોને સાંભળવામાં આવ્યા
અમદાવાદ સાબરમતીની જેમ રાજકોટ શહેરમાં આજી રિવર ફ્રન્ટના નિર્માણ માટે કલેક્ટર તંત્ર હસ્તગતની 1 લાખથી વધુ ચોરસ મીટર પર ઉભેલા 1350 જેટલા બાંધકામો, દબાણો દૂર કરવા માટે કવાયત કરાઈ રહી છે. દબાણકર્તાઓને નોટિસ અપાયા બાદ ફરી આજે બીજા રાઉન્ડમાં નોટિસ ધારકોને મામલતદાર કચેરી ખાતે સાંભળવામાં આવ્યા હતા. દબાણકર્તાઓ કે નોટિસ ધારકોના મિલકત સંબંધી પુરાવાઓ આપવા માટે આજે સવારથી જ મામલતદાર કચેરી પર લાઈન લાગી હતી. હવે તંત્ર દ્વારા ફાઈનલ નોટિસ ઈસ્યુ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.
દબાણકર્તાઓને કલેક્ટર તંત્ર દ્વારા લેન્ડ રેવન્યુ કલમ-61 હેઠળ નોટિસ અપાયા બાદ પ્રથમ રાઉન્ડમાં ગત મહિને તા.29થી 31 ત્રણ દિવસ સુધી દબાણકારોને સાંભળવામાં આવ્યા હતા. દબાણકારો દ્વારા 25,50 વર્ષથી વધુ સમયથી રહેતા હોવાની રજૂઆત કરાઈ હતી. જો કે તંત્ર મિલકતોની માલિકી હોવા સંબંધી દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું હતું અને બીજા રાઉન્ડમાં આજે ફરી હિયરિંગ રખાયું હતું. આજે સવારથી જ પૂર્વ મામલતદાર કચેરીઓ દબાણકર્તાઓની જાણે રેશનીંગ કાર્ડ દુકાન પર લાઈન લાગી હોય તેવી લાઈન લાગી હતી.
રાજકોટ કલેક્ટર તંત્ર હસ્તગતની સર્વે નં.256ુ ટી.પી. સ્કીમની અંદાજે 1,06,6800 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરીને આ જમીન આજી રિવર ફ્રન્ટ માટે ખુલી કરાવાશે. અંદાજે 1100 કરોડથી વધુના ખર્ચે સાબરમતી રિવર ફ્રન્ટ ટાઈપ આજી રિવર ફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ છે. જે અંતર્ગત દબાણકર્તાઓને દબાણો દૂર કરવા નોટિસો અપાઈ હતી. હવે આજથી ફરી નોટિસ ધારકોને સાંભળવા કે તેમના મિલકત સંબંધી પુરાવાઓ રજૂ કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો :રાજકોટમાં સિક્યોરિટી પાછળ 39 કરોડનો ખર્ચ:3 વોર્ડમાં ડીઆઈ લાઈન નાખવાનું કામ પેન્ડીંગ
જંગલેશ્વર, રાધાકૃષ્ણનગર, હુશેની ચોક, નાડોદાનગર, બાપુનગર સહિતના સ્લમ એરિયાના 1350 જેટલા મિલકતધારકોના મકાન અને દુકાનોને દૂર કરવા માટેની નોટિસો અપાઈ છે. મિલકત ધારકો પાસે જમીન પોતાની માલિકીની હોવાના કોઈ રજિસ્ટર્ડ દસ્તાવેજો નથી. માત્ર લાઈટ બીલ, વેરા બીલ આવું પુરાવારૂપે રજૂ કરાઈ રહ્યું છે જે ખરેખર મિલકત માલિકી સંબંધી પુરાવા ગ્રાહ્ય રહેશે નહીં. હિયરિંગ કામગીરી બાદ ફાઈનલ ડિમોલિશન નોટિસ આપવામાં આવશે.
હિયરિંગના સેક્નડ રાઉન્ડમાં આજે વૃધ્ધો, દિવ્યાંગો, મહિલાઓ સહિતનાઓ તો કોઈ નાના બાળકો, સંતાનો સાથે પૂર્વ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને લાંબી લાઈન લાગી હતી. મામલતદાર નિલેશ અજમેરાના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી.
