ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ભારે કહેર મચાવ્યો છે. રાજકોટના ઉપલેટામાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદથી ગામો બેટમાં ફેરવાયા, તો જુનાગઢના માંગરોળમાં નોળી નદીના ઘોડાપૂરથી નેશનલ હાઈવે ધોવાઈ ગયો. દરિયાકાંઠે પણ સ્થિતિ ગંભીર છે – અમરેલીના જાફરાબાદમાં તોફાની દરિયાને કારણે 700થી વધુ બોટોને કિનારે લાંગરી દેવાઈ છે. સમગ્ર પંથકમાં વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે.
ઉપલેટામાં ‘આભ ફાટ્યું’, રસ્તા ધોવાયા ગામો સંપર્ક વિહોણા
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વરસાદે સૌથી વધુ તબાહી સર્જી છે. લાઠ ગામમાં માત્ર 2 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાતા આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઉપલેટાથી લાઠ, ભીમોરા, મજેઠી અને તલંગણા તરફ જતા તમામ રસ્તા ધોવાઈ જતાં આ વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. એટલું જ નહીં, રસ્તા પર પડેલા મોટા ખાડામાં મુસાફરોથી ભરેલી એક ST બસ પણ ફસાઈ ગઈ હતી. ભીમોરા અને આસપાસના ગામોમાં પણ સ્થિતિ કફોડી છે.
ખેતરો ડૂબ્યા, ખેડૂતો ચિંતામાં
સત વરસાદ અને પાણીના નિકાલના અભાવે ઉપલેટાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જૂના પોરબંદર રોડ પર જલારામ મંદિર પાસે 100થી 125 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે. કેનાલથી બાયપાસ સુધીના અનિયમિત બાંધકામોના કારણે પાણીનો નિકાલ ન થતાં કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવા નગરપાલિકા પાસે માંગ કરી છે.
આ પણ વાંચો: ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી
માંગરોળમાં નોળી નદીનો કોપ, સોમનાથ-પોરબંદર હાઈવે બંધ
જુનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી નોળી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદીના પાણીના જોરદાર પ્રવાહને કારણે સોમનાથ–પોરબંદર નેશનલ હાઈવે પર લગભગ 40 ફૂટનું ધોવાણ થયું છે અને રસ્તાનો એક ભાગ ધસી પડ્યો છે. પ્રશાસને તાત્કાલિક ધોરણે હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દીધો છે. પોલીસ દ્વારા મુસાફરોને વૈકલ્પિક માર્ગો વાપરવા અપીલ કરાઈ છે. માંગરોળના અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે.
જાફરાબાદ દરિયો તોફાની, 700 બોટ લાંગરાઈ
અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે પણ વરસાદની સાથે દરિયો ઉગ્ર બન્યો છે. 10 ફૂટથી વધુ ઊંચા મોજા અને ભારે કરંટના કારણે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોની સુરક્ષા માટે તંત્રએ 700થી વધુ બોટોને કિનારે લાંગરી દીધી છે. જેમાંથી 300 બોટોને ક્રેન વડે જમીન પર ચડાવી દેવાઈ છે જ્યારે બાકીનીને જેટી પર સુરક્ષિત બાંધવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને દરિયાકિનારાથી દૂર રહેવા સૂચના અપાઈ છે.
હાલ દ્વારકા-સોમનાથ હાઈવે સહિત સૌરાષ્ટ્રના અનેક માર્ગો બંધ છે અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર દરિયાકાંઠા અને નદી કાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
