સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિના પ્રતિક સમાન તરણેતર લોકમેળો 14 થી 17 સપ્ટેમ્બરે યોજાશે
શ્રાવણ માસના પ્રારંભે તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે ત્યારે સાતમ-આઠમના તહેવાર પર રાજકોટમાં ભાતીગળ લોકમેળાનું ભવ્ય આયોજન થાય છે. જ્યારે શ્રાવણ માસ પુરો થતાની સાથે ભાદરવી સુદ ત્રીજથી ભાદરવી સુદ છઠ્ઠ દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન તરણેતર લોકમેળો યોજાઈ છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સૌથી મોટા પ્રાચીન તરણેતરના લોકમેળાની તારીખ જાહેર કરી છે જેમાં ૧૪ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન તરણેતર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રંગબેરંગી છત્રીઓ અને ભાતીગળ પહેરવેશ માટે વિશ્વભરમાં પ્રચલિત તરણેતરનો લોકમેળો દર વર્ષે ભાદરવી સુદ ત્રીજથી ભાદરવી સુદ છઠ્ઠ દરમિયાન આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામ પાસે આવેલ વિશ્વપ્રસિધ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં આ ભાતીગળ લોકમેળાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: સમય રૈના-રણવીરને સુપ્રીમ કોર્ટની રાહત
તરણેતરના મેળામાં સ્થાનિક લોકનૃત્ય, લોક સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાસ-ગરબાની રમઝટ જોવા મળે છે. આ સાથે પ્રવાસન નિગમ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા તરણેતરના મેળામાં દેશ-વિદેશમાંથી લાખો લોકો સૌરાષ્ટ્રની પરંપરા અને લોકસંસ્કૃતિની ઝલક જોવા ઉમટી પડે છે ત્યારે આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધી તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં સુરેન્દ્રનગર કલેક્ટરની અધ્યક્ષતામાં તરણેતરના મેળાના આયોજન માટે બેઠક મળી હતી જેમાં મુલાકાતીઓ માટે પાયાની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, સ્ટોલ, યાંત્રિક રાઈડના પ્લોટ, રોડ-રસ્તા અને સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
