રાજકોટ : પોલીસ નોટિસ આપવા આવી તો વેપારીએ એસિડ પી લીધું !! વાંચો શું છે સમગ્ર મામલો
- પોલીસ નોટિસ આપવા આવી તો વેપારીએ એસિડ પી લીધું !
- 20 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોય નિવેદન આપવા માટે નોટિસ આપવા આવેલી પોલીસ સાથે વણિક પરિવારની ધબધબાટી
- યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્ક શેરી નં.1માં બનેલો બનાવઃ ચાર સામે ગુનો નોંધાયો
શહેરના યુનિવર્સિટી રોડ ઉપર યોગેશ્વર પાર્ક શેરી નં.1માં આવેલા `તુલસી’ નામના મકાનમાં સવારના સમયે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકના એએસઆઈ સાથે વણિક પરિવારે ધબધબાટી બોલાવવાની સાથે જ એક વ્યક્તિએ એસિડ ગટગટાવી લેતાં અફડાતફડી મચી જવા પામી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ડફનાળા (શાહીબાગ) સાયબર ક્રાઈમ પોલીસ મથકના એએસઆઈ રાજેન્દ્ર રામશરણ યાદવ 20 લાખથી વધુની છેતરપિંડીના બનાવમાં ધર્મેન્દ્ર રમણીકલાલ શાહને નોટિસ આપવા માટે તેમના ઘેર ગયા હતા. એએસઆઈ યાદવે ધર્મેન્દ્ર શાહને નોટિસની બજવણી અંગે બોલાવતાં ધર્મેન્દ્રની સાથે જ તેની પત્ની, તેનો ભાઈ અરુણ અને તેની પત્ની ધસી આવ્યા હતા અને માથાકૂટ શરૂ કરી હતી. આ પછી પોલીસને ડરાવવા માટે ધર્મેન્દ્રએ એસિડ ગટગટાવી લેતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
એકંદરે સવારે 9ઃ30થી 10 વાગ્યા દરમિયાન થયેલા આ હોબાળાને કારણે આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. વાત વધુ ન વણસે તે માટે એએસઆઈ યાદવ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ એએસઆઈની ફરિયાદના આધારે યુનિ. પોલીસે ધર્મેન્દ્ર શાહ, તેના પત્ની, ભાઈ અરુણ શાહ અને તેના પત્ની સહિત ચાર સામે સરકારી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.