96.9% ફળ-શાકભાજી સુરક્ષિત, માત્ર 3.1% માં જંતુનાશક વધુ
બજારમાંથી શાકભાજી-ફળ ખરીદતી વખતે “આમાં જંતુનાશક તો નહીં હોય ને?” એવો ડર દરેકને હોય છે. લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ચિંતા અંગે સરકારી આંકડા રજૂ કર્યા. છેલ્લા 3 વર્ષના ડેટા મુજબ દેશમાં વેચાતા 96.9% ફળ અને શાકભાજી FSSAIની સુરક્ષિત સીમામાં જ છે. માત્ર 3.1% સેમ્પલમાં જ જંતુનાશકોની માત્રા નક્કી કરેલી લિમિટથી વધુ મળી આવી છે.
70,652 સેમ્પલની તપાસ, શું કહે છે આંકડા?
કૃષિ મંત્રીએ લોકસભામાં 2023-24 થી 2025-26 સુધીના 3 વર્ષના ડેટા રજૂ કર્યા:
– કુલ સેમ્પલ તપાસ: 70,652
– અસુરક્ષિત સેમ્પલ: 2,223 સેમ્પલ એટલે કે માત્ર 3.1% માં જંતુનાશકોના અવશેષો MRL – Maximum Residue Limit થી વધુ મળ્યા
– સુરક્ષિત સેમ્પલ: 96.9% સેમ્પલ સંપૂર્ણપણે સુરક્ષિત જણાયા
આનો સીધો અર્થ એ કે બજારની દરેક શાકભાજી “ઝેરી” નથી. સરકારે 2005થી MPRNL મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. GPS લોકેશન દ્વારા ખેતરો સુધી ટ્રેકિંગ કરીને સુરક્ષિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
આ પણ વાંચો: વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકા ટેસ્ટમાંથી બહાર થશે, BCCI નું ટેન્શન વધ્યું
ભારત ફળ-શાકભાજીનો શુદ્ધ નિકાસકાર બન્યો
જંતુનાશકોની સાથે-સાથે કૃષિ મંત્રીએ નિકાસ-આયાતના આંકડા પણ આપ્યા.
નિકાસ: 2016-17માં $2.45 બિલિયન હતી, જે 2025-26માં વધીને $3.93 બિલિયન એટલે કે લગભગ 58.2 લાખ ટન થઈ.
આયાત: વધતી સ્થાનિક માંગના કારણે $1.78 બિલિયનથી વધીને $3.82 બિલિયન પહોંચી.
આ આંકડા દર્શાવે છે કે ભારત હવે ફળ અને શાકભાજીનો શુદ્ધ નિકાસકાર બની ગયો છે.
ડિજિટલ કૃષિ અને અન્ય મહત્ત્વના સુધારા:
સરકાર માત્ર જંતુનાશક રોકવા પર નહીં, પરંતુ સુરક્ષિત ઉત્પાદન પર ભાર મૂકી રહી છે:
1. ડિજિટલ ક્રોપ સર્વે: પાકના સાચા અંદાજ માટે ‘Digital General Crop Estimation Survey’ હવે 23 રાજ્યોમાં લાગુ છે. પાક લણણીના આંકડા મોબાઇલ એપ અને GPS ફોટો સાથે નોંધાય છે.
2. ઓઇલ પામ મિશન: ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે નેશનલ મિશન હેઠળ અત્યાર સુધી 2.98 લાખ હેક્ટરમાં ઓઇલ પામની ખેતી શરૂ. તેના પરિણામો આગામી 4-5 વર્ષમાં દેખાશે.
3. રબર ઉત્પાદન: 2025-26માં ભારતે 9.05 લાખ ટન રબરનું ઉત્પાદન કર્યું. જ્યારે 4.59 લાખ ટન આયાત કરવી પડી. આંતરરાષ્ટ્રીય બજારની અસરથી રબરની સરેરાશ કિંમત ₹197થી વધીને ₹253 પ્રતિ કિલો થઈ.
સુગર ઉદ્યોગના હિતધારકોના સૂચન બાદ સરકારે ડ્રાફ્ટ સુગર્સ ઑર્ડર 2026 પરત પણ ખેંચી લીધો છે.
ડર નહીં, જાગૃતિ જરૂરી
સરકારનો ફોકસ હવે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ IPM દ્વારા સુરક્ષિત ઉત્પાદન, ડિજિટલ મોનિટરિંગ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા પર છે.
આંકડા કહે છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ શાકભાજીને સારી રીતે ધોવી અને જાગૃત રહેવું જરૂરી છે.
