માત્ર 8.25 ટકા સ્નાતકોને ડિગ્રીને અનુરૂપ નોકરી મળે છે: નીતિ આયોગનો ચોંકાવનારો અહેવાલ
શિક્ષણ અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચે વધતું અંતર યુવાનોની રોજગારી માટે સૌથી મોટો પડકાર બન્યું
પ્રેક્ટિકલ અનુભવ, ડિજિટલ કૌશલ્ય અને ઉદ્યોગસંપર્કના અભાવને કારણે કરોડો સ્નાતકો બેરોજગાર
દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા યુવાનોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ ડિગ્રી મેળવ્યા પછી પણ તેમને અભ્યાસને અનુરૂપ નોકરી મળતી નથી. નીતિ આયોગના તાજેતરના અહેવાલ મુજબ માત્ર 8.25 ટકા સ્નાતકો જ પોતાની લાયકાતને અનુરૂપ રોજગારી મેળવી રહ્યા છે. અહેવાલે દેશની શિક્ષણ વ્યવસ્થા, કૌશલ્ય વિકાસ અને રોજગાર બજાર વચ્ચેના વધતા અંતરને ઉજાગર કરતાં ચેતવણી આપી છે કે માત્ર ડિગ્રી નહીં, પરંતુ વ્યવસાયિક કૌશલ્ય અને ઉદ્યોગ સાથેનું જોડાણ જ ભવિષ્યના રોજગાર માટે નિર્ણાયક બનશે.
નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા ‘રીઇમેજિનિંગ સ્કિલિંગ ફોર વિકસિત ભારત @2047’ અહેવાલમાં, શિક્ષણ પ્રણાલી અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચે મોટો ખાંચો સર્જાયો હોવાનું સ્વીકાર્યું છે.
અહેવાલ અનુસાર, દેશમાં આપવામાં આવતું શિક્ષણ ઘણી જગ્યાએ હજુ પણ જૂના અભ્યાસક્રમો પર આધારિત છે, જ્યારે ઉદ્યોગોની જરૂરિયાતો ઝડપથી બદલાઈ રહી છે. પરિણામે ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો રોજગારની ખાતરી આપી શકતા નથી. નીતિ આયોગે આ સ્થિતિને શિક્ષણ અને શ્રમબજાર વચ્ચેનો “મૂળભૂત વિચ્છેદ” ગણાવ્યો છે.
કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ તાજેતરમાં એક મુલાકાતમાં આ જ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મોટાભાગના અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને નોકરી માટે તૈયાર કરતા નથી અને તેમને ઉદ્યોગસાહસિક બનવા માટે પણ પૂરતી તૈયારી આપતા નથી. તેમના મતે શિક્ષણ વ્યવસ્થાએ યુવાનોને રોજગાર, સ્વરોજગાર, ઉદ્યોગસાહસિકતા અથવા પારિવારિક વ્યવસાયના વિસ્તરણ જેવા વિવિધ વિકલ્પો માટે સક્ષમ બનાવવાની જરૂર છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં શાળાની મુલાકાતે ગયેલા CJP કાર્યકરો પર હુમલો, પીછો કરીને માર માર્યો
અભ્યાસ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર વધતું જાય છે
અહેવાલ મુજબ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રેક્ટિકલ લર્નિંગ, ઉદ્યોગ સાથેનો સંપર્ક અને જોબ-રેડીનેસ સપોર્ટ હજુ પણ નબળા છે. ઘણી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સીવી બનાવવાની પદ્ધતિ, ઇન્ટરવ્યૂની તૈયારી કે નોકરી શોધવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન મળતું નથી. પરિણામે તેઓ બજારમાં પોતાની ક્ષમતા અસરકારક રીતે રજૂ કરી શકતા નથી. નીતિ આયોગે એ પણ નોંધ્યું છે કે અનેક વિષયોમાં ભણાવતા શિક્ષકો પાસે ઉદ્યોગનો પૂરતો અનુભવ નથી, જ્યારે ઘણી સંસ્થાઓમાં આધુનિક પ્રયોગશાળાઓ અને તાલીમ માટે જરૂરી માળખાકીય સુવિધાઓનો અભાવ છે. જેના કારણે વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન કરતાં માત્ર સિદ્ધાંત આધારિત શિક્ષણ મળે છે.
ઇન્ટર્નશિપ અને એપ્રેન્ટિસશિપ બની શકે ઉકેલ
અહેવાલમાં સૂચવાયું છે કે ઇન્ટર્નશિપ અને એપ્રેન્ટિસશિપ શિક્ષણ અને રોજગાર વચ્ચેનો મહત્વનો પુલ બની શકે છે. જોકે આ કાર્યક્રમો માત્ર ઔપચારિકતા પૂરતા ન રહી જાય તે પણ જરૂરી છે. વિદ્યાર્થીઓને વાસ્તવિક કામનો અનુભવ અને જવાબદારી મળે ત્યારે જ તેઓ નોકરી માટે તૈયાર બની શકે છે. નીતિ આયોગના મતે હવે ભારત માટે સૌથી મોટો પડકાર યુવાનોને કોલેજ સુધી પહોંચાડવાનો નથી, પરંતુ ડિગ્રી બાદ તેમને યોગ્ય રોજગાર, કૌશલ્ય અને કારકિર્દીનો સ્પષ્ટ માર્ગ ઉપલબ્ધ કરાવવાનો છે.
દિશાવિહીન ડિગ્રી…
નીતિ આયોગના અહેવાલ મુજબ દેશમાં 3.4 કરોડ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાંથી 1.13 કરોડ માત્ર બેચલર ઓફ આર્ટ્સ (BA)માં અભ્યાસ કરે છે, જ્યારે BA, BSc અને BComમાં મળીને બે કરોડથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. અહેવાલ જણાવે છે કે આવા પરંપરાગત અભ્યાસક્રમોનો સીધો સંબંધ નોકરી સાથે બહુ ઓછો છે અને ઘણા વિદ્યાર્થીઓ આ ડિગ્રી મુખ્યત્વે સરકારી ભરતી માટેની લાયકાત મેળવવા લે છે. પરિણામે ડિગ્રી તો મળે છે, પરંતુ તેના આધારે કઈ કારકિર્દી બનાવી શકાય તે અંગે સ્પષ્ટતા હોતી નથી. નીતિ આયોગના જણાવ્યા મુજબ BA, BCom અને BSc જેવી સામાન્ય ડિગ્રીઓ ઘણીવાર સીધી રોજગારીમાં પરિવર્તિત થતી નથી, કારણ કે નોકરીદાતાઓને વધારાના વ્યવસાયિક કૌશલ્યની જરૂર રહે છે.
ડિગ્રી ખરી, પણ વ્યાવસાયિક કૌશલ્ય નહીં…
અહેવાલ મુજબ 34 ટકા વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન કૌશલ્યના અભાવને સૌથી મોટો પડકાર ગણાવ્યો છે, જ્યારે 18 ટકા વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ તૈયારીના અભાવનો ઉલ્લેખ કર્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 80 ટકા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ અનુભવ અને ઉદ્યોગ સાથેના સંપર્કના અભાવને પોતાની ડિગ્રીની સૌથી મોટી ખામી ગણાવી છે. અનેક વિદ્યાર્થીઓ પાસે વિષયનું સૈદ્ધાંતિક જ્ઞાન તો હોય છે, પરંતુ કાર્યસ્થળે જરૂરી ડિજિટલ કૌશલ્ય, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને વ્યવહારુ સમજણનો અભાવ જોવા મળે છે. પરિણામે પ્રમાણપત્ર હાથમાં હોવા છતાં નોકરી માટે જરૂરી ક્ષમતા વિકસતી નથી.
55 હજાર સરકારી જગ્યા માટે 1.86 કરોડ અરજીઓ
ભારતમાં સરકારી નોકરીઓ માટે જોવા મળતી ભારે સ્પર્ધા પાછળ પણ શિક્ષણ અને રોજગાર વચ્ચેનો આ જ ખાંચો જવાબદાર હોવાનું નીતિ આયોગે જણાવ્યું છે. અહેવાલ મુજબ નવેમ્બર 2024થી જુલાઈ 2025 દરમિયાન માત્ર 55 હજાર સરકારી જગ્યાઓ માટે 1.86 કરોડ અરજીઓ મળી હતી. આ આંકડો દેશના યુવાનોની રોજગાર સુરક્ષા પ્રત્યેની ઝંખના અને ઉપલબ્ધ તકો વચ્ચેના અસંતુલનને સ્પષ્ટ કરે છે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઉકેલ માત્ર વધુ સરકારી નોકરીઓ ઊભી કરવાનો નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થાને એવી બનાવવાની જરૂર છે કે યુવાનો ખાનગી ક્ષેત્ર, સ્વરોજગાર, ઉદ્યોગસાહસિકતા અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાયોમાં પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે.
